માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું, વિન્ડોઝ 10 હોય તો શું કરવાથી કોમ્પ્યુટર ચાલશે ?

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ કંપનીએ તેની જૂની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 સત્તાવાર સપોર્ટ બંધ કરી દીધો છે. આ નિર્ણયથી વિશ્વભરના કરોડો યુઝર્સ અસરગ્રસ્ત થશે, કારણ કે આજે પણ મોટી સંખ્યામાં લોકો આ સિસ્ટમ પર કામ કરે છે. આ વચ્ચે કંપનીની નવી વિન્ડોઝ 11 ચાર વર્ષ પહેલાં લોન્ચ થઈ હોવા છતાં, તે તરફ શિફ્ટ થવું ધીમું રહ્યું છે, જે ટેક્નોલોજી જગતમાં નવી ચર્ચાનો વિષય બન્યો છે.
માઇક્રોસોફ્ટે 14 ઓક્ટોબરથી વિન્ડોઝ 10 માટે તમામ પ્રકારના અપડેટ્સ અને સપોર્ટ બંધ કરી દીધા છે. આ તારીખ પછી કોઈ નવા ફીચર અપડેટ્સ કે સુરક્ષા પેચ મળશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે પણ 40 ટકાથી વધુ પીસી યુઝર્સ વિન્ડોઝ 10 પર જ કામ કરી રહ્યા છે, જ્યારે વિન્ડોઝ 11ના યુઝર્સ ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કંપનીએ આને ધ્યાનમાં રાખીને યુઝર્સને નવી સિસ્ટમ તરફ જવાની સલાહ આપી છે.
જો તમારી પાસે વિન્ડોઝ 10નું લાઇસન્સ્ડ વર્ઝન છે, તો તમે સરળતાથી વિન્ડોઝ 11માં અપગ્રેડ કરી શકો છો. જો કે, જો તમારી સિસ્ટમ પાયરેટેડ વર્ઝન પર ચાલે છે, તો અપગ્રેડની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. માઇક્રોસોફ્ટના અધિકારીઓ અનુસાર, આ અપગ્રેડ મફતમાં ઉપલબ્ધ છે અને તે તમારા કમ્પ્યુટરની હાર્ડવેર આવશ્યકતાઓ પર આધારિત છે. આમ કરવાથી યુઝર્સને નવા ફીચર્સ અને સુરક્ષા મળી શકે છે.
સપોર્ટ બંધ થવા છતાં વિન્ડોઝ 10 કામ કરતું રહેશે, પરંતુ તેને હવે કોઈ ટેક્નિકલ સહાય કે અપડેટ્સ મળશે નહીં. આના કારણે કમ્પ્યુટર્સ પર સાઇબર હુમલા અને વાયરસનું જોખમ વધી જશે, કારણ કે નવા સુરક્ષા પેચ વિના સિસ્ટમ વધુ નબળી બનશે. રોજિંદા જીવનમાં કમ્પ્યુટર પર આધારિત લોકો માટે આ એક મોટી ચિંતાનો વિષય છે.
માઇક્રોસોફ્ટે યુઝર્સ માટે એક્સ્ટેન્ડેડ સિક્યોરિટી અપડેટ્સ (ESU) પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે પેઇડ છે અને એક વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ પૂરા પાડશે. આ પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી ચાલુ રહી શકે છે, જે તેમને અપગ્રેડ કરવા માટે વધુ સમય આપે છે. જો કે, આ વિકલ્પ વ્યવસાયિક અને વ્યક્તિગત યુઝર્સ માટે અલગ-અલગ કિંમતો પર ઉપલબ્ધ છે, જે સુરક્ષાને પ્રાથમિકતા આપતા લોકો માટે ઉપયોગી છે.
આ પણ વાંચો…માઈક્રોસોફ્ટ કંપનીએ લીધો મોટો નિર્ણય, Windows 10ના યુઝર્સને પડશે મોટી તકલીફ, જાણો થશે કેવો ફેરફાર…