સરહદ પર તણાવ વચ્ચે ભારતે બગલીહાર અને સલાલ ડેમનાં દરવાજા ખોલ્યા; જુઓ VIDEO

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં પાકિસ્તાન તેની નાપાક હરકતથી બાઝ આવી રહ્યું નથી. પાકિસ્તાને ફરી ભારતનાં 26 જેટલા સ્થળો પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન ભારતે પણ ચીનાબ નદીમાં પાણી છોડ્યું છે, જેનો વીડિયો સામે આવ્યો છે.
ભારતે રોકી રહ્યું છે પાણી
પાકિસ્તાન સાથે ભારતનાં સબંધ તંગદિલી ભર્યા બન્યા છે. જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે સંબંધો તંગ બન્યા છે, અને હુમલાનો જવાબ આપતા ભારત સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. ભારત સરકારે 65 વર્ષ જુની સિંધુ જળ સંધિને મોકૂફ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતે સિંધુ જળ પરિવાહ તંત્રની અનેક નદીઓ પરનાં બંધનું પાણી રોક્યું છે.
સિંધુ જળ સંધિને મોકૂફ કરવાનાં ભારત સરકારનાં નિર્ણયથી પાકિસ્તાનમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાન દ્વારા પોષિત આતંકી હુમલાનો જવાબ આપ્યો હતો. આ ઓપરેશન બાદ ફફડી ગયેલું પાકિસ્તાન હવે ભારત પર હુમલા કરી રહ્યું છે. ગુરુવાર મોડી સાંજે કરવામાં આવેલા હુમલા બાદ શુક્રવારે પણ પાકિસ્તાને હુમલા કર્યા હતા. શનિવારે નાપાક પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળોને નિશાન બનાવ્યા છે.
બગલીહાર ડેમના અનેક દરવાજા ખોલ્યા
જો કે આજે સવારે કાશ્મીરનાં રામબનમાં ચિનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમના અનેક દરવાજા ખોલવામાં આવ્યા છે. તે ઉપરાંત ચેનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમનાં 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નદીમાં મોટાપાયે પાણી વહી રહ્યું છે. જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બન્યો છે. પાકિસ્તાનનાં નદી કિનારાનાં વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે.
આ પણ વાંચો…હવાઈ હુમલા બાદ હવે ભારતનો પાકિસ્તાન પર જળ હુમલો, ચિનાબ નદીનું પાણી છોડવામાં આવ્યું