દેશમાં ઇકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા આ રાજયમાં વિસ્ટાડોમ કોચ ટ્રેન સેવા શરૂ

લખનૌ : ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ઇકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ કોચ સેવા શરૂ કરી છે. જેમાં કટાર્નિયાઘાટ વન્યજીવન અભયારણ્યથી પીલીભીતમાં દૂધવા ટાઇગર રિઝર્વ સુધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા આવી છે. ઉત્તર પ્રદેશ વિસ્ટાડોમ કોચ ટ્રેન દ્વારા જંગલ સફારીનો અનુભવ આપતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
UP govt. launches India's first Vistadome jungle safari train connecting Katarniaghat Wildlife Sanctuary and Dudhwa Tiger Reserve. pic.twitter.com/qe5SyHCsPd
— Indian Infra Report (@Indianinfoguide) May 17, 2025
શનિવાર અને રવિવારે ચલાવવામાં આવશે
હાલમાં વિસ્ટાડોમ કોચ સેવા સપ્તાહમાં શનિવાર અને રવિવારે પૂરી પાડવામાં આવશે. પરંતુ તેને દરરોજ શરૂ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી વર્ષ દરમિયાન વધુ મુલાકાતીઓ માટે સુલભ બની શકે. આ પગલાથી સ્થાનિક રોજગારીની તકો ઉભી થવાની અને પ્રદેશના અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે. આ નવી પ્રવાસી ટ્રેનના ખાસ ડિઝાઇન કરેલા કોચ દ્વારા જંગલના મનોહર દૃશ્યો જોવા મળશે. જે મોટી કાચની બારીઓ અને પારદર્શક છતથી સજ્જ છે.
વિસ્ટાડોમ કોચથી 107 કિમી લાંબા જંગલની અંદર મુસાફરી
વિસ્ટાડોમ કોચ દ્વારા પ્રવાસીઓ 107 કિમી લાંબા જંગલની અંદર મુસાફરી કરતી વખતે કુદરતી દૃશ્યો, જૈવવિવિધતા અને વન્યજીવનનો નજીકથી અનુભવ કરી શકશે. આ મુસાફરીમાં 4 કલાક અને 25 મિનિટનો સમય લાગે છે. આ સેવા માટે પ્રવાસીઓ પાસેથી પ્રતિ પ્રવાસી માત્ર 275 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ ફી કટાર્નિયાઘાટથી દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન સુધીની છે.
આપણ વાંચો: વેસ્ટર્ન કમાન્ડ – ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો, જુઓ…
લખનૌથી પ્રવાસીઓને કટાર્નિયાઘાટ લાવવા આયોજન
પ્રવાસન નિયામક પ્રખર મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના વન વિસ્તારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે “” વન ડેસ્ટીનેશન થ્રી ફોરેસ્ટ ” તરીકે પ્રખ્યાત બનાવવાની યોજના છે. હાલમાં દર અઠવાડિયે યુથ ટુરિઝમ ક્લબ હેઠળ સરકારી શાળાના બાળકો માટે ખાસ ક્યુરેટેડ ટુરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિસ્ટાડોમ કોચ અને પ્રવાસને ડિજિટલી પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ટ્રાવેલ બ્લોગર્સ માટે ફેમ ટૂરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ લખનૌથી પ્રવાસીઓને કટાર્નિયાઘાટ લાવવા માટે એક પેકેજ તૈયાર કરી રહ્યું છે. સરકાર આ પેકેજ પર સબસિડી આપવાનું વિચારી રહી છે જેથી પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લઈ શકે.
નેચર ટ્રેઇલ અને જંગલ સફારીનો અનોખો અનુભવ
ઉત્તર પ્રદેશ ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને સમગ્ર વર્ષ દરમિયાન નેચર ટ્રેઇલ અને જંગલ સફારીનો અનોખો અનુભવ પૂરો પાડવાનો છે. આ સુવિધા પ્રથમ તબક્કામાં દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાના સકારાત્મક પરિણામો પછી તેને આખા અઠવાડિયા માટે લંબાવવાની યોજના છે.