આંધ્ર પ્રદેશમાં ટ્રેનમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ: પોલીસનો હવામાં ગોળીબાર

પિદુગુરાલ્લાઃ આંધ્ર પ્રદેશમાં આજે વહેલી સવારે પાલનાડુ જિલ્લાના તુમ્માલા ચેરુવુ નજીક સિકંદરાબાદથી ભુવનેશ્વર વચ્ચે ચાલતી વિશાખા એક્સપ્રેસમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ માહિતી પોલીસે આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બે અજાણ્યા શંકાસ્પદોએ આજે સવારે ૩-૩૦ વાગ્યાથી ૩-૪૫ વાગ્યાની વચ્ચે એલાર્મ ચેઇન ખેંચી હતી. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસઓપી) અનુસાર એસ્કોર્ટ પોલીસ તપાસ કરવા માટે ટ્રેનમાંથી ઉતરી હતી, જેના કારણે ગુનેગારો ખુલ્લા ખેતરોમાં ભાગી ગયા હતા.
ચેતવણીઓ છતાં તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એસ્કોર્ટ કર્મચારીઓએ તેમને રોકવા માટે ૯એમએમ પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ અને .૩૦૩ રાઇફલમાંથી ચાર રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: મુરી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારુઓએ મુસાફરોને માર મારી લાખો રૂપિયાની લૂંટ ચલાવી
ગુંટુર રેલવેના ડીએસપી બી અક્કેશ્વર રાવે જણાવ્યું કે આ ઘટનામાં કોઇને ઇજા થયાના અહેવાલ નથી. તેમજ કોઇ મુસાફરને નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે ટ્રેન ૧૦ મિનિટ રોકાયા બાદ ફરી રવાના થઇ હતી.
નાડિકુડિ નજીક થયેલી અગાઉની કેટલીક ચોરીઓમાં પણ આ ગેંગ સામેલ હોવાની શંકા છે. પોલીસને બિહાર-મહારાષ્ટ્રના સાત સભ્યોનું જૂથ આ સંવેદનશીલ વિસ્તારમાં સક્રિય હોવાની આશંકા છે. સાવચેતીના પગલાં તરીકે ઉનાળામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
રાવે કહ્યું કે અમે ટૂંક સમયમાં ગુનેગારોને પકડી પાડીશું. આ મામલે બીએનએસ ૧૨૬(૨), રેલવે એક્ટ ૧૪૧ અને પોલીસ ફાયરિંગ પ્રોટોકોલ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.