મુખ્યપ્રધાન પદની રસાકસી વચ્ચે વસુંધરાએ કરી ભાજપ હાઇકમાન્ડ સાથે વાતચીત | મુંબઈ સમાચાર
નેશનલ

મુખ્યપ્રધાન પદની રસાકસી વચ્ચે વસુંધરાએ કરી ભાજપ હાઇકમાન્ડ સાથે વાતચીત

જયપુર: રાજસ્થાનમાં મુખ્યપ્રધાનના નામ અંગે રસાકસી યથાવત છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નેતૃત્વ પર દબાણ વધારવાના પ્રયત્નો કરનારા વસુંધરા રાજે સિંધિયાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પક્ષની લાઇનથી બહાર નહી જાય એટલે કે તેઓ પક્ષના એક અનુશાસિત કાર્યકર્તા છે અને પાર્ટીની વિરુદ્ધ ક્યારેય નહિ જાય.

ધારાસભ્ય દળની બેઠક બાદ વસુંધરા રાજે સિંધિયાએ ફોન પર ભાજપ હાઇકમાન્ડ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ પક્ષના એક અનુશાસિત કાર્યકર્તા છે અને પક્ષની વિરુદ્ધ ક્યારેય નહિ જાય.

જો કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વસુંધરા આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. 20થી વધુ ધારાસભ્યો સાથે તેમણે ડિનરનું આયોજન કર્યું હતું. વસુંધરા કેમ્પ એ દાવો કર્યો હતો કે તેમને 68 ધારાસભ્યોનું સમર્થન છે. ઉપરાંત અમુક અપક્ષ ધારાસભ્યો પણ આડકતરી રીતે તેમની સાથે છે તેવો તેમણે દાવો કર્યો હતો.

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન પદની રેસમાં વસુંધરા સિવાય પણ ભાજપના ઘણા ચહેરા સામેલ છે. જેમાં પહેલા તો બાબા બાલકનાથનું નામ આગળ છે જેઓ હવે તિજારા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય બન્યા છે. લિસ્ટમાં બીજું નામ જયપુર રાજપરિવારના રાજકુમારી દિયાકુમારીનું છે, બંને લોકસભા સાંસદ છે પરંતુ પક્ષ દ્વારા તેમને વિધાનસભા ચૂંટણી લડવાનું જણાવવામાં આવ્યું હતું.

પાંચેય રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાંથી ભાજપે 3માં જીત મેળવી છે, અને હવે આ ત્રણેય રાજ્યોમાં મુખ્યપ્રધાન પદ માટે ભાજપ મંથન કરી રહ્યું છે. ત્રણેય રાજ્યોમાં જે મુખ્યપ્રધાન બને તે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ ફાયદો અપાવે તેવી આશાને પગલે ભાજપ તબક્કાવાર બેઠક કરી રહ્યું છે.

Back to top button