આવતીકાલથી નવો ટેરિફ લાગુ, નિકાસ અને લાખો નોકરીઓ લટકતી તલવાર?
ચીન, વિયેતનામ, મેક્સિકો, તુર્કી, પાકિસ્તાન સહિત અન્ય દેશોને ફાયદો થશે

નવી દિલ્હી: અમેરિકાએ ભારતમાંથી આયાત થતી શ્રમ-સઘન ચીજવસ્તુઓ પર ભારે 50 ટકાનો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે આવતીકાલથી અમલમાં આવશે. નવા ટેરિફથી કાપડ, ચામડું અને ઝવેરાત જેવા ઉત્પાદનોને ગંભીર અસર કરશે. આ પગલાથી ભારતની અમેરિકામાં થતી લગભગ અડધી નિકાસ પર અસર પડશે અને તે 86 અબજ ડોલરના કુલ વેપારમાંથી મોટા ભાગના ઉત્પાદનોને અસર કરશે.
ટેરિફના અમલ પૂર્વે ભારતની યુએસ નિકાસમાં વધારો
અમેરિકા પહેલેથી જ ભારતથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફ વસૂલે છે, અને હવે રશિયા પાસેથી ક્રૂડ તેલ અને લશ્કરી સાધનોની ખરીદીના વિરોધમાં આ વધારાના 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ભારે ટેરિફના કારણે ભારતીય ઉત્પાદનો યુએસ બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ગુમાવી શકે છે, પરિણામે બાંગ્લાદેશ, વિયેતનામ અને શ્રીલંકા જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશોને મોટો ફાયદો થશે. આ ટેરિફના અમલ પહેલા જુલાઈમાં ભારતની યુએસ નિકાસમાં 20 ટકાનો વધારો થયો હતો, કારણ કે કંપનીઓએ માલ ઝડપથી મોકલ્યો હતો.
લાખો નોકરીઓ જોખમમાં મૂકાશે
ચામડા અને ફૂટવેર ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર આ ટેરિફના કારણે કંપનીઓને કર્મચારીઓને છૂટા કરવા પડી શકે છે અથવા ઉત્પાદન બંધ કરવું પડી શકે છે. યુએસમાં જ્વેલરી ઉદ્યોગનું સૌથી મોટું બજાર હોવાથી નોકરીઓમાં ઘટાડો અનિવાર્ય છે. નિકાસકારોએ સરકાર પાસે વ્યાજ સબસિડી અને GST ઝડપી પરત કરવા જેવા પગલાંની માંગ કરી છે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મિથિલેશ્વર ઠાકુરના મતાનુસાર 10.3 અબજ ડોલરની નિકાસ ધરાવતો કાપડ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થશે. 50 ટકા ટેરિફથી આ ઉદ્યોગ માટે યુએસ બજારમાં ટકી રહેવું લગભગ અશક્ય બની જશે.
આર્થિક થિંક ટેન્ક GTRIના રિપોર્ટ અનુસાર, આ નવી ટેરિફ નીતિથી ભારતની 86.5 અબજ ડોલરની નિકાસના 66 ટકાને અસર થશે. સંસ્થાના સ્થાપક અજય શ્રીવાસ્તવએ જણાવ્યું કે આ ભારત માટે એક મોટો વેપાર ફટકો છે, જેનાથી શ્રમ-સઘન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા અને રોજગાર બંને પર ગંભીર અસર પડશે. આ ક્ષેત્રોમાંથી નિકાસ 70 ટકા સુધી ઘટી શકે છે, જેનાથી કુલ નિકાસમાં 43 ટકાનો ઘટાડો થશે અને લાખો નોકરીઓ જોખમમાં મુકાશે. આનાથી યુએસ બજારમાં ભારતનો પ્રવેશ નબળો પડશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં તેની ભાગીદારી પર અસર પડશે.