
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કરેલી ટેરિફની જાહેરાત બાદ ભારતે પણ જવાબ આપ્યો અને પોતાનો પક્ષ રાખ્યો હતો. જેવો ભારતે જવાબ આપ્યો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે નમતી નાખી છે. 25 ટકા ટેરિફની જાહેરાત બાદ હવે ટ્રમ્પ એવું કહે છે કે, ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે. એટલું જ નહીં પરંતુ પોતે જ કહે છે કે, ‘અમે ભારત સાથે વાટાઘાટો કરીશું.’
ભારત અમેરિકા પાસેથી સૌથી વધારે ટેરિફ વસૂલે છેઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી અમારા મિત્ર છે પરંતુ ભારત અમેરિકા સાથે ખૂબ જ ઓછો વેપાર કરે છે. એટલું જ નહીં પરંતુ ભારત બ્રિક્સનો ભાગ છે જેને અમેરિકા પોતાના વિરોધી દેશોનો સમૂહ માને છે. એટલા માટે પણ ટ્રમ્પ નરેન્દ્ર મોદીથી નારાજ હોવાનું સૂત્રો કહે છે. ટ્રમ્પનું કહેવું છે કે, ભારત અમેરિકા પાસેથી સૌથી વધારે ટેરિફ વસૂલે છે, અને સામે અમેરિકા પાસેથી ખૂબ ઓછા પ્રમાણમાં ખરીદી કરે છે. અત્યારે તો અમે ભારત સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
અમેરિકાને BRICSમાં સામેલ દેશોનો ડર છે!
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમે હમણાં વાતચીત કરી રહ્યા છીએ, અને આ પણ BRICS છે. તમે જાણો છો, તેમની પાસે BRICS છે, જે મૂળભૂત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ દેશોનો સમૂહ છે, અને ભારત તેનો સભ્ય છે… તે ડોલર પર હુમલો છે, અને અમે કોઈને ડોલર પર હુમલો કરવા દઈશું નહીં’ એટલે મૂળ વાત એ છે કે, અમેરિકાને ડર છે કે, BRICS માં સામેલ દેશો વિશ્વ પરથી ડોલરનું પ્રભુત્વ ઓછું કરવા માંગે છે. એટલા માટે જ અમેરિકાએ અનેક દેશોને ટેરિફની ધમકીઓ આપી છે.
ભારત સરકારે ટ્રમ્પને શું જવાબ આપ્યો?
અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી તેની સાથે જ ભારત સરકારે તેનો જવાબ આપી દીધો હતો. ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, અમારા માટે દેશ પહેલા છે, અને ભારત દેશના હિતમાં દરેક જરૂરી પગલું ભરીશું. ભારત સરકારના આવા નિર્ણયના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે નરમ પડ્યા અને વાતચીત કરીશું તેવી જાહેરાત કરી છે. એટલું જ નહીં પરંતુ થોડા જ સમયમાં ટેરિફ મામલે કરેલી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાંથી હટાવી દીધી હતી.
આ પણ વાંચો…ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ભારતની વિદેશ નીતિ અને અર્થતંત્ર પર સવાલો, કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર