
મુંબઈ/વોશિંગ્ટનઃ અમેરિકામાં વિઝાની મુદત પૂર્ણ થયા બાદ દેશમાં રહેતા ભારતીયોને ચેતવણી આપી હતી. આ ચેતવણી ભારત સ્થિત અમેરિકા દૂતાવાસે જાહેર કરી હતી. દૂતાવાસે કહ્યું કે, જો કોઈ ભારતીય વિઝાની સમય મર્યાદા પછી પણ અમેરિકામાં રહેશો તો તેને દેશનિકાલ કરવામાં આવશે અથવા ભવિષ્યમાં અમેરિકાની મુલાકાત પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. અમેરિકી દૂતાવાસે પહેલીવાર આ પ્રકારની ચેતવણી જારી કરી છે.
આ ચેતવણી એવા બધા ભારતીયો માટે છે જેઓ અલગ અલગ વિઝા પર અમેરિકામાં છે. આમાં પ્રવાસી અને વિદ્યાર્થી વિઝા તેમજ વર્ક પરમિટનો સમાવેશ થાય છે. અમેરિકામાં વિઝા પર રોકાણની એક નિશ્ચિત મર્યાદા છે. આ મર્યાદા I-94 ફોર્મ પર લખેલી હોય છે. આ ફોર્મ અમેરિકામાં પ્રવેશ પર ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત મર્યાદા કરતાં એક દિવસ પણ વધુ રોકાય તો તેને કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો કોઈ વ્યક્તિ વિઝાનો સમયગાળો વધારવા માંગતો હોય તો તેણે USCIS યુનાઈટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસનો સંપર્ક કરવો જોઈએ. આ સંસ્થા લોકોને અમેરિકામાં તેમના રોકાણને લંબાવવામાં મદદ કરી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇમિગ્રેશન અને વિઝા સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિઝા અને ઇમિગ્રેશન પર કડક નિયમો લાદ્યા છે.
દૂતાવાસની આ ચેતવણી બાદ ઘણા ભારતીયોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક વ્યક્તિએ એક્સ (ટ્વિટર) પર પૂછ્યું કે તમે કેટલા સમયથી અફઘાનિસ્તાનમાં છો? એક અન્ય વ્યક્તિએ કહ્યું કે અમેરિકા જનારા ભારતીયોએ પણ વિઝાના નિયમોનું પાલન કરવું જોઈએ અને વિઝાની મુદત પૂરી થતાં પહેલાં પાછા આવી જવું જોઈએ. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે અમેરિકી દૂતાવાસની ભાષા રાજદ્વારી નથી.
આપણ વાંચો : US Embassy એ ભારતમાં 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી, જાણો કારણ…