ઈતિહાસ રચશે આગામી વસ્તીગણતરી: પહેલીવાર ડિજિટલ અને સ્વ-ગણતરી સુવિધા, જાતિ ગણતરી પણ થશે

નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી વસ્તીગણતરી 1 માર્ચ, 2027 થી બે તબક્કામાં શરૂ થશે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તીગણતરી આયુક્ત તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તીગણતરી (Census)ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ વસ્તીગણતરી કરાવવા માટેનું સત્તાવાર જાહેરનામું 16 જૂન, 2025ના રોજ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.
બે તબક્કામાં થશે વસ્તીગણતરી
આગામી વસ્તીગણતરીની પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં હાથ ધરવામાં આવશે:
પ્રથમ તબક્કો (મકાન સૂચિ અને મકાનોની ગણતરી – HLO): આ તબક્કામાં દરેક પરિવારની રહેઠાણની સ્થિતિ, મિલકત અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.
બીજો તબક્કો (વસ્તીગણતરી – PE): આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસ્તીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતવાર માહિતી એકત્રિત કરાશે. આ વસ્તીગણતરીમાં જાતિ ગણતરી પણ કરવામાં આવશે.
સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે વસ્તીગણતરી
આ ભગીરથ કાર્ય માટે લગભગ 34 લાખ પ્રગણક અને સુપરવાઇઝર તથા આશરે 1.3 લાખ વસ્તીગણતરી અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. આ પ્રક્રિયા શરૂ થયા પછીની આ 16મી વસ્તીગણતરી છે અને આઝાદી પછીની 8મી વસ્તીગણતરી છે. મહત્વપૂર્ણ છે કે, આગામી વસ્તીગણતરી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકોને સ્વ-ગણતરી (Self-enumeration) કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે, જે પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
ડેટા સુરક્ષા પર વિશેષ ભાર
કેન્દ્રીય ગૃહ પ્રધાને ડેટા સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડેટાના સંગ્રહ, પ્રસારણ અને સંગ્રહ દરમિયાન ખૂબ જ કડક ડેટા સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવશે, જેથી માહિતીની ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ પણ વાંચો - 2047 સુધીમાં ભારત વૈશ્વિક નેતા બનશે જેમાં ઉત્તરપ્રદેશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: અમિત શાહ
1 માર્ચ, 2027 થી શરૂ થશે વસ્તીગણતરી
ઉલ્લેખનીય છે કે દેશમાં આગામી વસ્તીગણતરી 1 માર્ચ, 2027 થી બે તબક્કામાં શરૂ થશે. આ વખતેની વસ્તીગણતરીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જાતિની કૉલમ પણ શામેલ કરવામાં આવ્યો છે, જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર, તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા બર્ફીલા રાજ્યોમાં વસ્તીગણતરી ઓક્ટોબર ૨૦૨૬ થી શરૂ થશે.