શું Mukhtar Ansariનું મૃત્યુ ઝેર આપવાથી થયું હતું ? મેજિસ્ટ્રેટ તપાસમાં થયો આ ખુલાસો | મુંબઈ સમાચાર

શું Mukhtar Ansariનું મૃત્યુ ઝેર આપવાથી થયું હતું ? મેજિસ્ટ્રેટ તપાસમાં થયો આ ખુલાસો

બાંદા: માફિયા મુખ્તાર અંસારીના(Mukhtar Ansari)મૃત્યુ બાદ તેમના મૃત્યુના કારણો પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારબાદ મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવી હતી. બાંદાના જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંદા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ સરકારને તપાસ રિપોર્ટ પણ સોંપ્યો છે. જેમાં મુખ્તારના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું છે. મેજિસ્ટ્રિયલ તપાસમાં હાર્ટ એટેકના કારણે મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

પરિવારના સભ્યોએ રિપોર્ટનો જવાબ આપ્યો ન હતો
આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ મુખ્તાર અંસારીના પરિવારજનોને પણ નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. મુખ્તારના પરિવારને મોકલવામાં આવેલી નોટિસમાં મૃત્યુના કારણ અંગે વાંધો અથવા પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. પરંતુ પરિવારના કોઈ સભ્યએ જવાબ આપ્યો ન હતો. આ તપાસ રિપોર્ટ લગભગ 10 દિવસ પહેલા ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મુખ્તારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

મૃત્યુ 28 માર્ચે થયું હતું
28 માર્ચે માફિયા મુખ્તાર અંસારીની તબિયત જેલમાં બગડી હતી. જેલ તંત્ર દ્વારા તેને તાત્કાલિક બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, મુખ્તારના પરિવારજનો અને વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યા હતા કે મુખ્તારને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. સતત આરોપો બાદ બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા.

Back to top button