કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ગુજરાતના બે સહિત ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેશે અને ભારતીય રેલ્વે ના હાલના નેટવર્કમાં આશરે 894 કિલોમીટરનો ઉમેરો કરશે.
આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન, ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન, વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન અને ઇટારસી-ભોપાલ-બીના ચોથી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો ખર્ચ ₹24,634 કરોડ થશે.
આપણ વાંચો: સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે પરિયોજના
જેમાં મંજૂર કરવામાં આવેલી પરિયોજના અંગે જોઈએ તો, મહારાષ્ટ્રમાં વર્ધા – ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 314 કિમી. જ્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢને જોડતી ગોંદિયા – ડોંગરગઢ ચોથી લાઇનનું બાંધકામ 84 કિમી, તેમજ
ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી વડોદરા – રતલામ ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 259 કિમી. આ ઉપરાંત
મધ્યપ્રદેશમાં ઇટારસી – ભોપાલ – બીના ચોથી લાઇનનું બાંધકામ – 237 કિમીનું છે.
આશરે 3,633 ગામોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે
આ પ્રોજેક્ટ્સ આશરે 85.94 લાખ વસ્તી ધરાવતા આશરે 3,633 ગામોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આમાં બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ – વિદિશા મધ્યપ્રદેશ અને રાજનાંદગાંવ છત્તીસગઢનો સમાવેશ થાય છે. જેને સુધારેલ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. મલ્ટી-ટ્રેકિંગ મુસાફરો અને માલવાહક ટ્રેન ટ્રાફિક ક્ષમતામાં વધારો કરશે. તેમજ ટ્રેનની ગતિમાં સુધારો કરશે, આ પ્રોજેક્ટ્સ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને આ વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરશે.