‘થરૂર ભાજપના પ્રવક્તા છે?’ કોંગ્રેસ નેતાએ શશી થરૂરની વફાદારી સામે સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો મળી રહ્યા છે કે શશિ થરૂર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. એવામાં પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) અંગે નિવેદન આપીને શશિ થરૂરે (Shashi Tharoor) ફરી વિવાદ ઉભો કર્યો છે. તેમણે કોંગ્રેસના આરોપો સામે કેન્દ્ર સરકારનો બચાવ કર્યો હતો. હવે કોંગ્રેસ નેતા ઉદિત રાજે શશિ થરૂરની રાજકીય વફાદારી પર સવાલ ઉઠાવ્યા છે. ઉદિત રાજે પૂછ્યું કે થરૂર કોંગ્રેસ સાથે છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે.
એક ન્યુઝ એજન્સી સાથે સાથે વાત કરતા ઉદિત રાજે કહ્યું, ‘હું શશિ થરૂરને પૂછવા માંગુ છું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં છે કે ભાજપમાં? શું તેઓ ‘સુપર-BJP’ માણસ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે? શશિ થરૂરે ભાજપને પૂછવું જોઈએ કે સરકાર પીઓકે ક્યારે પાછું મેળવશે? શું શશિ થરૂર ભાજપના વકીલ બની ગયા છે?’
થરૂરે શું કહ્યું હતું?
રવિવારે થરૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલો કદાચ ગુપ્તચર નિષ્ફળતાને કારણે થયો હતો, પણ કોઈપણ દેશ પાસે ક્યારેય 100 ટકા ફૂલપ્રૂફ ગુપ્ત માહિતી હોતી નથી.
થરૂરે કહ્યું, “દેખીતી રીતે, કોઈ ફૂલપ્રૂફ ગુપ્ત માહિતી નહોતી. કેટલીક નિષ્ફળતાઓ પણ હતી… પરંતુ આપણી પાસે ઇઝરાયલનું ઉદાહરણ છે, જેની પાસે બધી રીતે વિશ્વની શ્રેષ્ઠ ઈન્ટેલીજન્સ એજન્સીઓ છે, છતાં બે વર્ષ પહેલા હમાસનો હુમલો થયો. મને લાગે છે કે ઇઝરાયલના લોકો સરકાર પાસે જવાબદારી જવાબદારીની માંગણી પહેલા યુદ્ધ ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે, તેમ મને લાગે છે કે આપણે વર્તમાન કટોકટી પર પણ ધ્યાન આપવું જોઈએ અને પછી સરકાર પાસેથી જવાબદારીની માંગ કરવી જોઈએ. કોઈપણ દેશ પાસે ક્યારેય 100 ટકા ફૂલપ્રૂફ ગુપ્ત માહિતી હોતી નથી.”
થરૂર ભાજપના પ્રવક્તા છે?
કોંગ્રેસના નેતા ઉદિત રાજે પણ થરૂરના વલણ અંગે સ્પષ્ટતા માંગી છે. ઉદિત રાજે કહ્યું, ‘હું તેમને પૂછવા માંગુ છું કે 9/11 પછી અમેરિકામાં કઈ આતંકવાદી ઘટના બની? શું ભાજપે તેમને પોતાના પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે?
આપણ વાંચો…પહેલા મોદીના વખાણ અને હવે ભાજપ ઉપાધ્યક્ષ સાથે સેલ્ફી! શું શશિ થરૂર કોંગ્રેસને અલવિદા…