કાશ્મીરના અનંતનાગના જંગલોમાં બે કમાન્ડો ગુમઃ આર્મી અને એરફોર્સનું મેગા સર્ચ ઓપરેશન

અનંતનાગ: પહલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદ વિરોધી અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાનમાં આજે ભારતીય સેનાને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડૂલ વિસ્તારમાં 7 ઓક્ટોબરની રાત્રે કોમ્બિંગ ઓપરેશન (સઘન શોધખોળ) દરમિયાન ભારતીય સેનાના બે પેરા કમાન્ડો ગુમ થઈ ગયા છે. સેનાનો તેમના બે જવાનો સાથે સંપર્ક તૂટી ગયા બાદ તેમને શોધવા માટે હેલિકોપ્ટર અને સ્થાનિક સહાય સહિત એક મોટું બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ગુપ્ત માહિતીના આધારે જંગલમાં ગયા હતા કમાન્ડો
ભારતીય સેનાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કમાન્ડો ગડૂલ વિસ્તારમાં ગયેલા બે પેરા કમાન્ડો ગુમ થયા છે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બે કમાન્ડો ગડૂલના ગાઢ જંગલોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે શરૂ કરાયેલા કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. પરંતુ ભારે વરસાદ દરમિયાન આ બંને કમાન્ડો ગુમ થઈ ગયા હતા ત્યારથી તેમની સાથે ફરીથી સંપર્ક થઈ શક્યો નથી.
ગુમ થયેલા સૈનિકો અંગે સેનાએ જણાવ્યું છે કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી સંભાવના છે. ગુમ થયેલા કમાન્ડોની શોધખોળમાં મદદ કરવા માટે સ્થાનિક ગુર્જર અને બકરવાલ સમુદાયોને પણ જોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગડૂલ જંગલોમાં થલ સેના અને એર ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે અને ગુમ થયેલા સૈનિકોને શોધી રહી છે. જોકે, સુરક્ષા એજન્સી આ અંગે વધુ વિગતો આપવાનું ટાળી રહી છે. અગાઉ પણ ગડૂલ વિસ્તારમાં અનેક આતંકવાદ વિરોધી કામગીરી થઈ છે, જેને કારણે સુરક્ષા દળોની હાજરી અહીં કાયમ રહીં છે.
આપણ વાંચો : માઉન્ટ એવરેસ્ટ પર ભયાનક બરફનું તોફાન: 850થી વધુ પર્વતારોહક અને ગાઈડને સુરક્ષિત બચાવાયા