રાજા રઘુવંશી હત્યાકાંડના બે આરોપી સ્ટેટમેન્ટ બદલ્યું, શું હવે રાજાને મળશે ન્યાય?

શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડ કેસે ફરી એક નવો વળાંક લીધો છે. મેઘાલય પોલીસે દાવો કર્યો હતો કે તમામ આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો છે. પરંતુ હવે બે આરોપીઓ આકાશ અને આનંદે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. આ ઘટનાએ મુખ્ય આરોપી સોનમના ગુનો કબૂલ્યા હોવાના સ્ટેટમેન્ટ પરથી ફરી જવાની અસમંજશતાને જગાવી છે. જોકે, મેઘાલયની વિશેષ તપાસ ટીમ (SIT)ના વડાએ જણાવ્યું કે તેમની પાસે આરોપીઓ વિરુદ્ધ પૂરતા ભૌતિક પુરાવા છે, જે કેસને મજબૂત બનાવે છે.
હત્યાકાંડની તપાસની વિગતો
રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસ હાલ ચાલુ છે. શિલોંગ શહેરના પોલીસ અધિક્ષક અને SITના ઇન્ચાર્જના જણાવ્યા પ્રમાણે આકાશ અને આનંદને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ચૂપ રહેવાના કાનૂની અધિકારનો ઉપયોગ કરીને નિવેદન આપવાનો ઇનકાર કર્યો. પોલીસે તમામ આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ નથી કર્યા, ફક્ત આ બે આરોપીઓને જ રજૂ કરાયા હતા.
પોલીસના પુરાવા અને કાનૂની પ્રક્રિયા
આ કેસમાં તપાસ એજન્સી દ્વારા તમામ મહત્વના પુરવા ભેગા કરવામાં આવ્યા હતા. જેથી આ કેસમાં પીડિતને ન્યાય મળી રહે. તપાસ એજન્સીએ તમામ પુરવા જે કોર્ટોમાં સ્વીકાર્ય હોય તે જ જોડી રહી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ સમક્ષ આપેલા ઇકબાલિયા નિવેદનો કોર્ટમાં માન્ય નથી, પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ ધારા 183 હેઠળ નોંધાયેલા નિવેદનો કાનૂની પ્રક્રિયામાં મહત્વના છે. હાલમાં SIT ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે તપાસને વધુ મજબૂત બનાવશે.
કેસની આગળની દિશા
આરોપીઓના ઇનકાર છતાં, પોલીસને વિશ્વાસ છે કે ભૌતિક પુરાવા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા પૂરતા છે. આ કેસમાં સોનમની ભૂમિકા હજુ પણ તપાસના કેન્દ્રમાં છે, અને પોલીસનો દાવો છે કે પુરાવાઓના આધારે કેસ મજબૂત રહેશે.