ટ્રમ્પે વડાપ્રધાન મોદી પર ‘વશીકરણ’ કર્યું હતું! પરમહંસ આચાર્યનો વિચિત્ર દાવો

અયોધ્યા: યુજીસીના નવા નિયમો અંગે નિવેદન આપતા અયોધ્યાના પરમહંસ આચાર્યએ વડા પ્રધાન મોદી અંગે એક વિચિત્ર દાવો કર્યો હતો. પરમહંસ આચાર્યએ દાવો કર્યો કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાશિકરણ કર્યું હતું અને તેમણે ધ્યાન કરીને વડાપ્રધાનને છોડાવ્યા હતાં. તેમના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે યુજીસીએ હાલમાં રજુ કરેલા નવા નિયમોને વિવાદ સર્જાયો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવતા લગાવ્યો હતો. કોર્ટે સરકાર અને યુજીસીને નવેસરથી નિયમો તૈયાર કરવા અને એ માટે એક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ અંગે પરમહંસ આચાર્યએ કહ્યું કે ટ્રમ્પે તંત્ર-મંત્ર કરીને વડાપ્રધાન મોદી પર વાશિકરણ કર્યું હતું. આ વાશિકરણને કારણે તેમના સાશન હેઠળ યુજીસીએ આવો નિયમ બનાવ્યો હતો, પરંતુ તેમણે વૈદિક મંત્રોથી વડાપ્રધાનને મુક્ત કર્યા છે.
મોદીપર વશીકરણમાંથી મુક્ત!
મીડિયા સાથે વાત કરતા પરમહંસ આચાર્યએ કહ્યું, “UGCના નિયમોથી અમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થઈ શકે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે વડાપ્રધાનના વધતા પ્રભાવ સામે દુનિયાએ જાદુટોણાની મદદ લીધી છે. મેં ધ્યાન કર્યું, ત્યારે મને ખબર પડીને વડાપ્રધાન ટ્રમ્પના વશીકરણનો શિકાર બન્યા છે. અમે વૈદિક મંત્રોનો પાઠ કર્યો, હવે મોદીપર કોઈ વશીકરણની અસર નહીં થાય. હવે મોદી કોઈ એવો કાયદો નહીં બનાવે જે દેશના વિકાસમાં અવરોધ ઉભો કરે.”
પરમહંસ આચાર્યએ નિયમો અંગે યુજીસી પર પ્રહાર કર્યા હતાં. તેમણે માંગ કરી હતી કે આ રદ કરવામાં આવે અથવા તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામાં આવે.



