નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી: ભારત-પાક મેચ પહેલાં લોખંડી સુરક્ષા | મુંબઈ સમાચાર

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી: ભારત-પાક મેચ પહેલાં લોખંડી સુરક્ષા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ૧૪મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ એનઆઇએ અને મુંબઇ પોલીસને મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્ર્નોઇને છોડી મૂકવાની માગણી કરવામાં આવી છે અને રૂ. ૫૦૦ કરોડ માગવામાં આવ્યા છે. આ ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસ સતર્ક થઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. મેચ નિહાળવા આવનારા પ્રેક્ષકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે. ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરના રોજ મેચ રમાનારી છે, પરંતુ ધમકીને લઇને ૧૧ ઑક્ટોબરથી જ સ્ટેડિયમ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. અમદાવાદ અને ગુજરાત પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવશે.

Back to top button