નેશનલ

કર્ણાટકમાં હજારો લીટર ડોનેટેડ બ્લડ ફેંકી દેવાયુંઃ બ્લડકેમ્પસ યોજતા પહેલા ધ્યાનમાં રાખવા જેવા સમાચાર

બેંગલુરુઃ દરદીને જ્યારે જરૂર પડે ત્યારે લોહી મળી રહે તે માટે દેશભરમાં બ્લડકેમ્પ્સ યોજાતા હોય છે. રક્તદાને મહાદાન કહેવાય છે અને તેના લીધે નિયમિતપણે હજારોનો જીવ બચતો રહે છે. ઘણી સંસ્થાઓ ખૂબ જ જવાબદારીથી આ કામમાં જોડાયેલી છે. યુવાનો અને તમામ લોકોમાં રક્તદાન મામલે જાગૃતિના કાર્યક્રમો પણ યોજાય છે. આજકાલ ઘણા નેતા-પ્રધાનો પણ પોતાના જન્મદિવસે બ્લડકેમ્પ યોજે છે, પરંતુ આજે એક ખાસ વિષય પણ વાત કરવાની છે, જે બલ્ડકેમ્પ યોજતી વખતે આયોજકે અને રકતદાન કરનારા તમામે ધ્યાનમાં રાખવા જેવી છે.

કર્ણાટકમાં બનેલી એક ઘટનાએ આ વિષયને ફરી ઉજાગર કર્યો છે. એક અહેવાલ પ્રમાણે કર્ણાટકમાં ત્રણેક વર્ષમાં લગભગ 44, 700 જેટલા બ્લડયુનિટ્સ ફેંકી દેવામાં આવ્યા છે.

છેલ્લા ૩ વર્ષમાં કર્ણાટકમાં સૌથી વધુ રક્ત વેડફાયું છે. દરેક યુનિટમાં લગભગ ૪૫૦ મિલી રક્ત હોય છે. આ વર્ષે કર્ણાટકમાં લગભગ ૧૦ લાખ યુનિટ એટલે કે ૪ લાખ ૪૨ હજાર લિટરથી વધુ રક્ત એકત્ર થયું હતું.

સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે એકંદરે, ૨૦૨૪ અને ૨૦૨૫માં ૨૦ હજાર લીટરથી વધુ રક્ત વેડફાયું છે. સ્ટેટ બ્લડ સેલના મતે, કર્ણાટકમાં ૪૪ હજાર ૭૦૦ યુનિટથી વધુ રક્ત વેડફાયું છે જે અત્યંત ગંભીર બાબત છે.

આ લોહી ઉપયોગમાં ન આવવાનું કારણ એ છે કે તેમાં કોઈને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન અથવા તો એવા તત્વો મળ્યા છે જે અન્યના શરીરમાં દાખલ થાય તો તેને પણ મુશ્કેલી પહોંચાડી શકે છે. નિયમો અનુસાર એચઆઈવી, થેલેસેમિયા વગેરે જેવા ઘણા રોગ છે જેના દરદીઓને રક્તદાન કરવાની અનુમતિ નથી. આ ઉપરાંત જો લોહીમાં અમુક કણો ઓછા વધુ પ્રમાણમાં હોય તો પણ તે દરદીને કામ આવતું નથી.

આ ઉપરાંત લોહીને સાચવી રાખવા માટે પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે લોહીમાં જે પ્લેટલેટ્સ હોય છે તેને 5 દિવસ માટે જ સાચવી શકાય છે, લાલકણો રેડ સેલ્સ માત્ર 42 દિવસ સુધી સાચવી શકાય છે. આથી જો તે આનાથી લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવામાં આવે તો તે વેડફાય જાય છે, તેમ નિષ્ણાતો જણાવે છે.

આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપને લીધે લોહીના સંગ્રહની આધુનિક સુવિધાઓ હોવાાન દાવા થાય છે, પરંતુ કર્ણાટકનો કિસ્સો સાક્ષી પુરે છે કે લોહીનો બગાડ થાય છે. આ સાથે જો આવું ઈન્ફેક્ટેડ બ્લડ બીજા દરદીના શરીરમાંમ જાય તો પણ ગંભીર પરિણામો આવી શકે છે. આથી જ્યારે કેમ્પ યોજવામાં આવે અથવા તો રક્તદાન થાય ત્યારે જ જો દરેક પ્રકારની તપાસ કરી લેવામાં આવે તો આ બગાડ ઘટાડી શકાય.

અકસ્માત કે અન્ય કોઈ બીમારીમાં દરદીને પોતાના બ્લડગ્રુપ અનુસાર લોહી ન મળે ત્યારે દરદી અને તેના પરિવારનો જે રઝળપાટ હોય છે તે જોતા સમજી શકાય કે રક્તદાન કેટલું જરૂરી છે, પણ આ સાથે તે લોહી યોગ્ય રીતે સચવાઈ રહે તે પણ જરૂરી છે. કર્ણાટક સહિત તમામ રાજ્યોની સરકારોએ બ્લડબેન્ક્સમાં વ્યવસ્થાઓ અને સુવિધાઓ વધારે સુદ્રઢ બને તે જોવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button