હરિયાણાની જેલમાં કેદ આતંકવાદીની હત્યા; રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો

ફરીદાબાદ: હરિયાણાનાં ફરીદાબાદ જીલ્લાના બલ્લભગઢમાં આવેલી નીમકા જેલમાં બંધ આતંકવાદી અબ્દુલ રહેમાનની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ ગત મોડી રાત્રે માથા પર ફટકો મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બનતા જેલ પ્રશાસન સામે સવાલ ઉઠ્યા છે.
અબ્દુલ રહેમાનની ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મિલ્કીપુરનો રહેવાસી હતો. માર્ચ 2025 માં ગુજરાત ATS અને હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ફરીદાબાદના પાલી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ તે અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી ગ્રેનેડ સહિત અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી.
અબ્દુલ રહેમાને ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ વીડિયો અપલોડ કરતો હતો. ઇન્સ્ટાગ્રામે અબ્દુલનું એકાઉન્ટ ઘણી વખત ડાઉન કર્યું હતું, જેને કારણે તે પોલીસના નજરમાં આવ્યો હતો. હરિયાણા STF, ગુજરાત ATS અને યુપી STFએ અબ્દુલને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું.
સાથી કેદીએ જ કરી હત્યા:
અહેવાલ મુજબ અરુણ ચૌધરી નામના કેદી સામે રહેમાનની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અરુણ ચૌધરીને તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરથી નીમકા જેલમાં ટ્રાન્સફર કરવમાં આવ્યો હતો. ગત રાત્રે બંને વચ્ચે કોઈ બાતે ઝઘડો થયો હતો, અરુણ ચૌધરીએ કથિત રીતે અબ્દુલ રહેમાન પર હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી.
પોલીસે અબ્દુલ રહેમાનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે.



