કેદારનાથ ધામમાં હિમવર્ષાનો વિડીયો સોશિયલ મીડીયા પર પોસ્ટ કરવા પર મંદિર સમિતી નારાજ, વહીવટીતંત્રને પત્ર લખ્યો

કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં સતત બરફવર્ષા થઇ રહી છે. તેમજ લધુત્તમ તાપમાન માઇનસ 17 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જોકે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેદારનાથ ધામના અનેક વિડીયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના પગલે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતીએ આ વિડીયો પોસ્ટ કરવા અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમજ આ અંગે સમિતીના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ કાર્યવાહી માટે જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો છે.
શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના કપાટ બંધ
આ અંગે સમિતીના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના કપાટ બંધ છે. તેમજ સોશિયલ મીડિયા પર મંદિરમાં હિમવર્ષાના વીડિયો મુક્વા એ પરંપરાની વિરુદ્ધ છે. પૌરાણિક માન્યતાઓ અને પરંપરાઓ અનુસાર શિયાળામાં મંદિર બંધ રહે તે દરમિયાન છ મહિના સુધી મંદિરોમાં દેવ પૂજાનું વિધાન છે. તેથી તીર્થ પુજારીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને મંદિરની શિયાળાની ઋતુ સંબંધિત વીડિયો અને ફોટા પોસ્ટ કરવા જોઈએ નહીં.
કેદારનાથમાં હિમવર્ષાનો વીડિયો વાઇરલ
આ અંગે વરિષ્ઠ તીર્થ પુજારી અને શ્રી કેદાર સભાના અધિકારી સંતોષ ત્રિવેદીએ તાજેતરમાં કેદારનાથમાં હિમવર્ષાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો હોવા અંગે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતી પ્રમુખે પણ સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્રને પત્ર પણ લખ્યો છે.
કેદારનાથ યાત્રા 2026 ની તૈયારીઓ માટે બેઠક
જોકે, આ દરમિયાન કેદારનાથ યાત્રા 2026 ની તૈયારીઓ માટે બેઠક યોજાશે. જેની માટે જિલ્લા વહીવટીતંત્રે 8 જાન્યુઆરીએ સ્થાનિક ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, તીર્થ પુજારીઓ અને અધિકારીઓ સાથે પહેલી બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં છેલ્લા એક વર્ષમાં થયેલા કામની સમીક્ષા કરવામાં આવશે અને આગામી યાત્રાને લગતા મહત્વપૂર્ણ કાર્યો તેમજ અસરકારક અને યાત્રા કેવી રીતે સુનિશ્ચિત કરવી તેની ચર્ચા કરવામાં આવશે.



