વિદ્યાર્થીઓના ભગવા પોશાક પર સવાલ ઉઠાવ્યા બાદ તેલંગાણાની સ્કૂલ પર થયો હુમલો
![School in Telangana attacked after questioning students' saffron attire](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/109391541-1.webp)
તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં એક મિશનરી શાળાના પ્રિન્સીપાલે શાળાના પરિસરમાં ધાર્મિક પોશાક પહેરેલા કેટલાક વિદ્યાર્થીઓ સામે વાંધો ઉઠાવતા વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી હોવાનો બનાવ નોંધાયો હતો. પોલીસે પ્રિન્સીપાલ અને બે સ્ટાફ સભ્યો વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
હૈદરાબાદથી લગભગ 250 કિમી દૂર કન્નેપલ્લી ગામમાં બ્લેસિડ મધર ટેરેસા હાઈસ્કૂલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેરળના વતની પ્રિન્સીપાલ જૈમન જોસેફે બે દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓને ભગવા પોશાક પહેરીને શાળામાં આવતા જોયા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ વિશે પૂછ્યું તો તેઓએ જવાબ આપ્યો કે તેઓ 21 દિવસની હનુમાન દીક્ષાનું પાલન કરી રહ્યા છે. ત્યારબાદ પ્રિન્સિપાલે તેમને તેમના માતા-પિતાને શાળામાં લાવવા કહ્યું જેથી તેઓ તેના પર ચર્ચા કરી શકે.
આટલા બનાવ બાદ કોઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિન્સીપાલ કેમ્પસમાં હિંદુ પોશાક પહેરવાની મંજૂરી આપતા નથી. આ પછી તરત જ તોફાની લોકોના ટોળાએ શાળા પર હુમલો કર્યો હતો. વીડિયોમાં ભગવા પહેરેલા ટોળાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે અને બારી તોડી રહ્યા છે જ્યારે ગભરાયેલા શિક્ષકો હાથ જોડીને તેમને રોકવા માટે વિનંતી કરે છે. પોલીસકર્મીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને પ્રદર્શનકારીઓને શાળાના કોરિડોરમાંથી હટાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિન્સીપાલને ટોળાએ ઘેરી લીધા હતા અને તેમની સાથે મારપીટ પણ કરી હતી. પ્રિન્સીપાલના કપાળ પર બળજબરીથી તિલક પણ લગાવવામાં આવ્યું હતું.