26/11 આતંકી હુમલોઃ તહવ્વુર રાણાને પરિવાર સાથે ફોન પર વાત કરવાની મંજૂરી આપી

નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે ૨૬/૧૧ મુંબઇ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને આજે આ મહિનામાં ત્રણ વખત તેના ભાઇ સાથે ફોન પર વાત કરવાની મંજૂરી આપી છે. જેથી તે ખાનગી વકીલ સાથે વાત કરી શકે. આ જાણકારી કોર્ટના સૂત્રોએ આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી વર્ચ્યુઅલી હાજર થયા બાદ વિશેષ ન્યાયાધીશ ચંદર જીત સિંહે રાણાની ન્યાયિક કસ્ટડી ૮ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. ન્યાયાધીશે બંધ બારણે થયેલી સુનાવણી દરમિયાન જણાવ્યું કે રાણાના ફોન કોલ રેકોર્ડ કરવામાં આવશે. તેમજ વાતચીત જેલ અધિકારીઓની હાજરીમાં અંગ્રેજી અથવા હિન્દીમાં જ થવી જોઇએ.
આ પણ વાંચો: મુંબઈ 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાએ કર્યા અનેક મોટા ખુલાસા, જાણો વિગતે…
કાનૂની સહાયક વકીલ પિયુષ સચદેવાએ ચાર્જશીટ અને પૂરજ ચાર્જશીટમાં અમુક દસ્તાવેજોની ચકાસણી માટે કોર્ટ પાસેથી સમય માંગ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. રાણા કથિત રીતે ૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. તે એક અમેરિકન નાગરિક છે. ૪ એપ્રિલના રોજ યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત પ્રત્યાર્પણ સામેની તેમની સમીક્ષા અરજી ફગાવી દીધા બાદ તેને ભારત લાવવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે દરિયાઇ માર્ગે મુંબઇમાં પ્રવેશ કરીને એક રેલવે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલા કર્યા હતા. લગભગ ૬૦ કલાક સુધી ચાલેલા આ હુમલામાં કુલ ૧૬૬ લોકો મૃત્યુ પામ્યા હતા.