
નવી દિલ્હી: અલ ફલાહ યુનિવર્સિટીમાં આતંકી કાવતરાના ખુલાસા બાદ હવે જમીન પર દબાણ અને નિર્માણ સબંધી ગેરરીતિઓનો પણ ખુલાસો થવા માંડ્યો છે. તપાસ બાદ યુનિવર્સિટીમાં ગેયકાયદે થયેલા નિર્માણને પાડી નાખવાની યોજના બનાવવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા નિયમોના ઉલ્લંઘનને લઈને ગંભીર આરોપોની તપાસ આદરી દેવામાં આવી છે.
સૂત્રો જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી વહીવટી તંત્રએ લગભગ 80 એકર પરિસરમાં માત્ર સરકારી કે ગ્રામ્ય માર્ગો પર કબજો જ નહીં પરંતુ અનેક ગેરકાયદે ઇમારતનું નિર્માણ કરી દીધું છે. આ મામલે ડીટીઓ એન્ફોર્સમેન્ટ, મામલતદાર યુનિવર્સિટીના માપણીના આધારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડે તેવી શક્યતા છે.
ગ્રામલોકોનો આરોપ છે કે જ્યારે 1990 માં યુનિવર્સિટી કેમ્પસનું વિસ્તરણ શરૂ થયું, ત્યારે કુલપતિએ મનસ્વી રીતે અનેક ગ્રામ્ય માર્ગો પર દબાણ કર્યું હતું, જેના કારણે ખેડૂતો માટે તેમના ખેતરોમાં જવું જ મુશ્કેલ બન્યું હતું.
શરૂઆતમાં, એન્જિનિયરિંગ કોલેજ 30 એકર જમીન પર બનાવવામાં આવી હતી, પરંતુ બાદમાં, ઇમારતોનું વિસ્તરણ કરવા અને રસ્તાઓને કેમ્પસમાં સમાવવા માટે આસપાસની જમીન ખરીદવામાં આવી હતી.
હાલ તો તંત્ર દ્વારા યુનિવર્સિટીમાં ચાલી રહેલા બાંધકામ કાર્યને અટકાવી દેવામાં આવ્યું છે. ડૉ. ઉમર અને અન્ય આરોપીઓના યુનિવર્સિટી સાથેના જોડાણને કારણે, તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
યુનિવર્સિટીમાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસ સતત વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં અનેક સ્થળોએ નવી ઇમારતોનું બાંધકામ ચાલી રહ્યું હતું, જેમાં મેડિકલ કોલેજ સૌથી મોટી હતી. તપાસ શરૂ થયા પછી, કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું છે અને કામદારો પણ સ્થળ છોડીને જતાં રહ્યા છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટનું કનેક્શન ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સુધી! UGCની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ…



