
નવી દિલ્હીઃ મોટર વાહન કર એ વળતર આપનાર છે અને જો કોઇ વાહનનો ઉપયોગ જાહેર સ્થળે કરવામાં આવતો નથી અથવા ઉપયોગ માટે રાખવામાં આવતા નથી તો તેના માલિક પર તે સમયગાળા માટે મોટર વાહન કરનો બોજ નાખવો જોઇએ નહીં, એમ વડી અદાલતે જણાવ્યું હતું.
ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ડિસેમ્બર ૨૦૨૪ના ચુકાદાને પડકારતી અપીલ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. વડી અદાલતે જણાવ્યું કે મોટર વાહન કર એ વળતર આપનાર પ્રકૃતિનો છે. તેનો સીધો સંબંધ અંતિમ ઉપયોગ સાથે છે.
મોટર વાહન કર વસૂલવાનો તર્ક એ છે કે જે વ્યક્તિ જાહેર માળખાકીય સુવિધાઓ, જેમ કે રસ્તા અને હાઇવે વગેરેનો ઉપયોગ કરી રહી છે તેમણે આવા ઉપયોગ માટે ચૂકવણી કરવી પડશે.
આંધ્ર પ્રદેશ મોટર વાહન કરવેરા અધિનિયમ, ૧૯૬૩ની કલમ ૩નો ઉલ્લેખ કરતાં ખંડપીઠે કહ્યું કે વિધાનસભાએ આ જોગવાઇમાં ઇરાદાપૂર્વક ‘જાહેર સ્થળ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ કાયદાની કલમ ૩ મોટર વાહનો પર કર લાદવા સાથે સંબંધિત છે.
વડી આદલતે ૨૯ ઓગસ્ટના રોજ આપેલા પોતાના ચુકાદામાં જણાવ્યું કે જો કોઇ મોટર વાહનનો ઉપયોગ જાહેર સ્થળ પર કરવામાં આવતો નથી અથવા તેને જાહેર સ્થળ પર ઉપયોગ માટે રાખવામાં આવતા નથી તો સંબંધિત વ્યક્તિને જાહેર માળખાકીય સુવિધાઓનો લાભ મળી રહ્યો નથી.
તેથી આવા સમયગાળા માટે તેના પર મોટર વાહન કરનો બોજ નાખવો જોઇએ નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની કલમ ૩ કિંમત વસૂલવાની જોગવાઇ કરે છે અને રાજ્ય સરકારને મોટર વાહન પર કર વસૂલવાની સત્તા આપે છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક! જાણો કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ આલોક અરાધે…