કોલકાત્તા હાઈ કોર્ટમાં થયેલા હંગામા પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: ‘શું આ જંતર-મંતર છે?’

નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે ગત ૯ જાન્યુઆરીએ કોલકાત્તા હાઇ કોર્ટમાં મોટા પાયે થયેલી અંધાધૂંધી અને હંગામા અંગે આજે ચિંતા વ્યક્ત કરી હતી. આ હંગામો બેકાબૂ ભીડને કારણે મચ્યો હતો. જેના કારણે કોર્ટને રાજકીય સલાહકાર પેઢી આઇ-પેકના કાર્યાલયમાં ઇડીના સર્ચ અને જપ્તી કાર્યવાહી સંબંધિત કેસમાં નિર્ધારિત સુનાવણી મુલતવી રાખવાની ફરજ પડી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વત્તી હાજર રહેલા સોલિસિટર જનરલ(એસજી) તુષાર મહેતાએ ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વિપુલ પંચોલીની ખંડપીઠને જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ની કાનૂની શાખાએ વોટ્સએપ મેસેજ સર્કયુલેટ કરીને લોકોને કોર્ટમાં ભેગા થવા માટે કહ્યું હતું.
આપણ વાચો: સાવરકરની તસવીરો હટાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અરજદારને ચેતવણી આપી
મહેતાએ કહ્યું કે કૃપા કરીને જુઓ આ કેસમાં શું થયું. અમે(કલકત્તા) હાઇકોર્ટ ગયા હતા. જ્યારે લોકશાહીનું સ્થાન ટોળાશાહી લઇ લે છે ત્યારે આવું જ થાય છે. આ હાઇકોર્ટના રેકોર્ડમાં છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વકીલો અને અન્ય લોકો કોર્ટરૂમમાં ઘૂસી ગયા હતા. જેના કારણે ભારે અરાજકતા અને હંગામો મચી ગયો હતો. તેમણે કહ્યું કે સુનાવણી માટે આ વાતાવરણ અનુકૂળ ન હોવાનું બેન્ચે અવલોકન કર્યું હતું.
મહેતાએ કહ્યું કે મેં શાસક પક્ષના કાયદા વિભાગના વોટ્સએપ ચેટ રેકોર્ડ પર મૂક્યા છે. આ અચાનક બન્યું ન હતું. પાર્ટીના લીગલ સેલ દ્વારા લોકોને ત્યાં જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ ખંડપીઠે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે શું બધા લોકો આવી ગયા? જાણે કે આ જંતર-મંતર હોય. મહેતાએ કહ્યું કે હાઇકોર્ટને જંતર મંતરમાં ફેરવી દેવામાં આવી હતી. બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું એસજીએ જણાવ્યું હતું.



