નેશનલ

સુંદરબન બાંગ્લાદેશીઓ માટે ઘૂસણખોરીનું મુખ્ય કેન્દ્ર! BSFએ DRDO પાસે મદદ માંગી, ISRO પણ જોડાશે

113 કિમી લાંબા સંવેદનશીલ સુંદરવન વિસ્તારમાં અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ્સ તૈનાત કરવા DRDO પાસે મદદ માંગી

સુંદરબન, પશ્ચિમ બંગાળઃ ભારત અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી અને સરહદ પાર ચાલતા આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોની ભારતમાં ઘૂસણખોરી વધી રહી છે. જેના કારણે ભારત સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત 113 કિમી લાંબા સંવેદનશીલ સુંદરવન વિસ્તારમાં અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ્સ તૈનાત કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force – BSF) એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) પાસેથી મદદ માંગી છે.

સુંદરવનમાં અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ્સ તૈનાત કરવા વિચારણા

BSF દ્વારા આ પગલું ગુપ્ત માહિતીના આધારે લેવામાં આવ્યું છે. ગૃપ્ત માહિતી એવી મળી છે કે, આતંકવાદી સંગઠનો સુંદરવનના નદી અને દરિયાઈ માર્ગો દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. આ બેઠક ‘ઓપરેશન સિંદૂર’ પછી તરત જ ગયા મહિને ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોક કાર્યાલયમાં બોર્ડર મેનેજમેન્ટ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા બેઠક દરમિયાન આ માંગ ઉઠાવવામાં આવી હતી. BSF દ્વારા અત્યારે સુંદરબન સેક્ટરમાં લગભગ 123 કિમી સરહદ પર સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન, રડાર અને સેટેલાઈટ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. જેથી આપણી સરહદને સુરક્ષિત રાખી શકાય.

સુંદરબનના 113 કિમી વિસ્તારને ટેકનિકલ દેખરેખ રાખવો જરૂરી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, બીએસએફએ સુંદરબન વિસ્તારના લગભગ 113 કિમી વિસ્તારને ટેકનિકલ દેખરેખ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇસરો અને ડીઆરડીઓના સહયોગથી આ સંદર્ભમાં અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. ડીઆરડીઓને સ્થળની મુલાકાત લેવા અને યોગ્ય ટેકનિકલ ઉકેલો ઓળખવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ હાલમાં તે ગુજરાતના ખાડી વિસ્તારમાં ચાલી રહેલા અન્ય પ્રોજેક્ટને પૂર્ણ કર્યા પછી જ સુંદરબન પર કામ શરૂ કરશે.

સરહદને વહેલી તકે તકનીકી સહાયથી સુરક્ષિત કરવી અનિવાર્યઃ BSF

આ પ્રોજેક્ટ દેશમાં થતી ઘૂસણખોરીને રોકવા માટે અતિ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, અત્યારે સુરક્ષા એજન્સીઓ પૂર્વીય સરહદની આવી સ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. આ સરહદને શક્ય તેટલી વહેલી તકે તકનીકી સહાયથી સુરક્ષિત કરવામાં નહીં આવે, તો ગેરકાયદેસર ઇમિગ્રેશન અને આતંકવાદી ઘૂસણખોરીને રોકવાના પ્રયાસો પ્રભાવિત થઈ શકે છે.

પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી 7 સર્વેલન્સ ટાવર માટે જમીન માંગી

અત્યારે BSF દ્વારા આઠ તરતી બોર્ડર આઉટપોસ્ટ અને 96 પેટ્રોલ બોટ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. BSF એ પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સાત સર્વેલન્સ ટાવર માટે જમીન માંગી છે અને વન વિભાગ સાથે શેર કરેલી પોસ્ટ્સની સંખ્યા વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.અહીં અત્યારે આવી ત્રણ સહ-સ્થિત પોસ્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે. પરંતુ સુરક્ષા માટે વધારે સાત સર્વેલન્સ ટાવર તૈનાર કરવા અતિ આવશ્યક પણ છે. આ મામલે ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા વારંવારના સર્વેક્ષણમાં ભાગ ન લેવાને કારણે પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. આ પહેલા મળેળી બેઠકમાં બે જગ્યાએ જમીન આપવાની રાજ્ય સરકાર મંજૂરી આપી હતી. પરંતુ ફરી આમાં વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો….અમદાવાદમાંથી નકલી ભારતીય પાસપોર્ટ સાથે 40 બાંગ્લાદેશી ગુમ, આ રીતે થયો પર્દાફાશ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button