આંધ્ર પ્રદેશમાં વિચિત્ર અકસ્માતઃ બસ રિવર્સ લેવાને બદલે ઘૂસી ગઈ સ્ટેશનમાં અને… | મુંબઈ સમાચાર

આંધ્ર પ્રદેશમાં વિચિત્ર અકસ્માતઃ બસ રિવર્સ લેવાને બદલે ઘૂસી ગઈ સ્ટેશનમાં અને…

હૈદરાબાદ: આંધ્રપ્રદેશના વિજયવાડામાં વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસચાલક બસને રિવર્સ કરવા જતા સીધો બસ સ્ટેશનની રેલિંગ તોડીને પેસેન્જરને કચડી નાખ્યા હતા. આ વિચિત્ર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.

વિજયવાડાના પંડિત નેહરુ બસ સ્ટેશન પર એપીએસઆરટીસીની બસ સ્ટેશનની રેલિંગ તોડી નાખી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત તથા ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી અને અકસ્માતમાં ઘાયલોને પણ ઉત્તમ પ્રકારની સારવાર આપવાની ખાતરી આપી હતી.

આ દુર્ઘટના સોમવારે સવારે 8.20 વાગ્યે બની હતી. ડ્રાઈવરે બસ પાછળ વાળવાને બદલે આગળ લીધી હતી અને ત્યારબાદ બસ પ્લેટફોર્મ સાથે જઈને અથડાઇ હતી, જેમાં વેઈટિંગ એરિયામાં બેઠેલા પ્રવાસીઓને બસે કચડી નાખ્યા હતા. આ અકસ્માત અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. દરમિયાન મુખ્ય પ્રધાન રેડ્ડીએ પણ અકસ્માતમાં તપાસના આદેશ આપ્યા હતા.

અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે બસ અચાનક ઝડપથી આગળ વધીને પ્લેટફોર્મ સાથે ટકરાઇ અને ત્યારબાદ નજીકના વેટિંગ એરિયામાં સ્ટીલની રેલિંગ સાથે અથડાઇ હતી. આ ઘટનામાં બસની અડફેટમાં આવતા ત્રણ લોકોના મોત થયા હતા અને ૩ પ્રવાસીને ગંભીર ઇજા થઈ હતી

Back to top button