રશિયન સેનામાં ભારતીયની ભરતી મામલે રશિયન દૂતાવાસનું નિવેદન ‘રશિયા અને ભારતનું વલણ એક સમાન’
![Russian Embassy regarding the recruitment of Indians](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Russian-Embassy-regarding-the-recruitment-of-Indians.webp)
નવી દિલ્હી: રશિયાની સેનામાં ચાલી રહેલા ભારતીય નાગરિકોની ભરતીને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે રશિયન દૂતાવાસનું નિવેદન સામે આવ્યું છે. રશિયન દૂતાવાસે કહ્યું છે કે આ મુદ્દે બંને દેશોનું વલણ એક સમાન છે. નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસના અધિકારી રોમન બાબુશકિને બુધવારે જણાવ્યું હતું કે રશિયા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ શોધવા માટે સમાન રીતે પ્રતિબદ્ધ છે.
તેમણે સમાચાર સંસ્થા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘આ મામલે અમારું વલણ પણ ભારતની જેમ સમાન છે. આ અમારી બંનેની સમસ્યા છે. અમને મળતી વિગતો અનુસાર આ લોકોને તે એજન્ટો દ્વારા છેતરવામાં આવ્યા છે. તેઓ ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે અને તે લોકોને ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રશિયા-યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા 2 ભારતીય નાગરિક, રશિયન સેનામાં ભરતી થયા હતા
તેમણે કહ્યું હતું કે ભારતીય નાગરિકોને રશિયાની આર્મીમાં ભરતી કરનાર એજન્ટોની તપાસ ચાલી રહી છે. રશિયન સૈન્યમાંથી રજા માંગનાર ભારતીય નાગરિકોની સ્થિતિ પર રાજદૂતે કહ્યું, ‘અમે ભારતીય પક્ષ સાથે વાતચીત શરૂ કરી છે અને ભારત સરકાર સાથે સંકલન જાળવી રાખ્યું છે. અમે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છીએ.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો સાથે દગો કરવામાં આવ્યો છે. જો કે તેમાં કેટલાક પૈસા કમાવવા માટે ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમે આ નથી ઇચ્છતા અને આથી એ તમામ એજન્ટોની તપાસ કરી રહ્યા છીએ કે જેમણે ભરતી કર્યા હતા અને દગો કરવામાં આવ્યો છે. જો કે આ તપાસમાં રશિયાના એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે. રશિયામાં રહેતા ભારતીય નાગરિકો વિઝિટર કે વ્યાવસાયીક વીઝા પર છે અને આથી જ અમારી પાસે ભારતીય નાગરિક કે અન્ય વિદશી નાગરિક માટે ભરતી કરવાની કોઈ વ્યવસ્થા નથી.