નેશનલ

પુરીમાં જગન્નાથ યાત્રામાં નાસભાગ: સરકારે બે અધિકારીને કર્યાં સસ્પેન્ડ, ડીએમ-એસપીની બદલી

પુરી: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલી રહી છે. આ રથયાત્રા અષાઢી બીજના રોજ શરૂ થઈ હતી. જ્યારે 12 દિવસ ચાલતી આ યાત્રામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રથયાત્રા દરમિયાન નાસભાગ થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 50થી વધુ લોકોના ઘાયલ થઈ હતી. આ ઘટનાથી દેશભરમાં હડકંપ મચ્યો છે. ઓડિશા સરકારે આ ઘટનામાં ગેરજવાબદારી બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને પુરીના જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકનું તાત્કાલિક ટ્રાન્સફર કર્યું છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

ઘટના અને કાર્યવાહી

પુરીના ગુંડિચા મંદિર નજીક રવિવારે સવારે 4 વાગ્યે રથયાત્રા દરમિયાન નાસભાગ થઈ હતી. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથો નજીક અનુષ્ઠાન માટે સામગ્રી લઈ જતાં બે ટ્રક આવી જતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં બોલાગઢના બસંતી સાહૂ, બાલીપટનાના પ્રેમકાંત મોહંતી અને પ્રવતી દાસનું મોત નિપજ્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટના માટે શ્રદ્ધાળુઓ પાસે માફી માંગી અને મૃતકોના પરિવારોને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

રાજ્ય સરકારે વહીવટી તપાસના આદેશ આપ્યા

સીએમઓના નિવેદન મુજબ પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વાઈન અને એસપી વિનીત અગ્રવાલનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ચંચલ રાણાને નવા કલેક્ટર અને પિનાક મિશ્રાને નવા એસપી તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, ડીસીપી વિષ્ણુ પાઠી અને કમાન્ડન્ટ અજય પાઢીને ગેરજવાબદારી બદલ સસ્પેન્ડ કરાયા છે. સીએમ માઝીએ વિકાસ આયુક્તની દેખરેખ હેઠળ વહીવટી તપાસના આદેશ આપ્યા છે.

આપણ વાંચો ગેરકાયદે રહેનારા અથવા વિઝા ફ્રોડ કરનારાને અમેરિકન દૂતાવાસે આપી ચેતવણી

ભીડનું સંચાલન કરવામાં નિષ્ફળ રહેતા ભાગદોડ

ભાગદોડમાં ઘાયલ 50 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા, જેમાંથી છની હાલત ગંભીર છે. મૃતકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે, અને ઘટનાની તપાસ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ભીડનું સંચાલન ન થઈ શકવું એ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ભવિષ્યમાં વધુ સજાગતા રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 27 જૂનના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડ ઉમટવાના કારણે 600થી વધારે શ્રદ્ધાળુઓને ઈજા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button