નેશનલસ્પોર્ટસ

પુરીમાં સ્પીડબોટ પલટી; સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી મોતને હાથતાળી આપી પાછા ફર્યા

પુરી: ઓડીશાના પુરીના દરિયાકાંઠે એક સ્પીડ બોટ પલટી જવાની ઘટના બની હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલી (Snehasish Ganguly) અને સ્નેહાશિષના પત્ની અર્પિતા આ ઘટનામાં માંડ માંડ બચ્યા હતાં. આ ઘટના શનિવારે સાંજે બની હતી. અર્પિતાએ પ્રસાશન પર બેદકારીના આરોપ લગાવ્યા છે.

શનિવારે સાંજે સ્નેહાશિષ અને અર્પિતા સ્પીડબોટની સવારીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે લાઇટહાઉસ પાસે બોટ પલટી ગઈ હતી. પોલીસે આ ઘટના અંગે સોમવારે માહિતી આપી હતી.

એક ન્યુઝ એજન્સી સાથે વાત અર્પિતાએ જણાવ્યું, “ભગવાનની કૃપાથી, અમે બચી ગયા. હું હજુ પણ આઘાતમાં છું. આવું ન થવું જોઈએ અને દરિયામાં વોટર સ્પોર્ટ્સની યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ. કોલકાતા પાછા ફર્યા પછી, હું પુરીના સુપ્રીટેનડેન્ટ ઓફ પોલીસ અને ઓડિશાના મુખ્ય પ્રધાનને પત્ર લખીશ.”

બોટ ઊંચા મોજા સાથે અથડાઈ:

ઘટના અંગે માહિતી આપતા અર્પિતાએ જણાવ્યું કે બોટ એક ઊંચા મોજા સાથે અથડાઈ અને પલટી ગઈ અને તેઓ અને તેના પતિ સહિત તમામ મુસાફરો દરિયામાં પડી ગયા. તેમણે કહ્યું, “લાઇફગાર્ડની તાત્કાલિક કાર્યવાહીને કારણે અમારા જીવ બચી ગયા.”

સંચાલકોની બેદકારી!

અર્પિતાએ આરોપ લગાવ્યો કે 10 મુસાફરો માટે બનેલી સ્પીડબોટમાં ફક્ત ચાર મુસાફરો સવાર હતા. તેમણે કહ્યું, “ઓછા વજનને કારણે બોટે સંતુલત ગુમાવ્યું હતું. દરિયામાં પહેલેથી તોફાન હોવાનું જણાઈ રહ્યું હતું. ઊંચા મોજાઓને કારણે અમે સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હોવા છતાં, સંચાલકોએ અમને ખાતરી આપી હતી કે અમને કઈ નહીં થાય. થોડા સમય પછી, એક મોટું મોજું બોટ સાથે અથડાયું અને બોટ પલટી ગઈ.”

અર્પિતાએ કહ્યું કે અધિકારીઓએ અહીં આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button