પીએમ મોદીએ જે કર્તવ્ય ભવનનું ઉદ્ધાટન કર્યું તેની ખાસિયતો જાણોઃ હવે સરકારી કામ માટે તમારે પણ અહીં જવું પડશે

નવી દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં શાસ્ત્રી ભવન, કૃષિ ભવન, ઉદ્યોગ ભવન, નિર્માણ ભવન વગેરે જેવી ઇમારતોમાં વિવિધ મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે.
જોકે આ ઇમારતો આઝાદી બાદ એટલે કે 1950થી 1970 દરમિયાન નિર્માણ પામી હતી. આ ઇમારતો હવે જૂની થઈ ગઈ છે. જેને લઈને મંત્રાલયો માટે ‘કર્તવ્ય ભવન’ નામની નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું છે.
આપણ વાંચો: શ્રી લંકાથી પરત ફરતા પીએમ મોદીએ કર્યા રામસેતુના દર્શન, જુઓ વીડિયો
‘કર્તવ્ય ભવન’ની વિશેષતા
નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ‘કર્તવ્ય ભવન'(સેન્ટ્રલ સેક્રેટેરિટ-CCS)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક ઓફિસ કોમ્પલેક્ષ છે. આ ઇમારત અંદાજીત 1.5 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલી છે.
જેમાં કેન્દ્ર સરકારના મહત્ત્વના મંત્રાલય જેવા કે ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, MSME મંત્રાલય, DoPT, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અને પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય હશે.
હાલ જે ઇમારતનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે, તે ‘કર્તવ્ય ભવન-3’ છે. આવી હજુ બે ઇમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેને ‘કર્તવ્ય ભવન-1’ અને ‘કર્તવ્ય ભવન-2’ નામ આપવામાં આવશે. આ ઇમારત બે બેઝમેન્ટ અને સાત માળ ધરાવે છે. આ ઇમારતના પરિસરમાં એકસાથે 600 કાર પાર્ક થઈ શકે છે. તેમાં ક્રેચ, યોગ રૂમ, મેડિકલ રૂમ, કેફે, રસોડુ અને હોલ પણ છે. કર્તવ્ય ભવનમાં 24 કોન્ફ્રન્સ રૂમ પણ છે. દરેક રૂમ 45 લોકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.
આપણ વાંચો: PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટનઃ કહ્યું, દાદરા અને નગર હવેલી આપણો વારસો…
સેન્ટ્રલ વિસ્ટા માસ્ટર પ્લાનનો ભાગ છે ‘કર્તવ્ય ભવન’
‘કર્તવ્ય ભવન’નું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા પ્લાન પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ સેક્રેટેરિટ-CCSની કુલ 10 ઇમારતોનું નિર્માણ થવાનું છે. ‘કર્તવ્ય ભવન-1’ અને ‘કર્તવ્ય ભવન-2’નું નિર્માણ કાર્ય આગામી મહિના સુધી પૂરૂ થઈ જશે. તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યું છે. નવું સંસદ ભવન પણ આ પ્રોજેક્ટનો જ ભાગ છે.