લોકસભામાં ગુંજ્યો સોનિયા ગાંધી સાથે સોરોસ કનેક્શન મુદ્દો, ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઇ

નવી દિલ્હી : ભાજપે સોનિયા ગાંધી પર લગાવેલા સોરોસ લિંકના આરોપો બાદ આજે સંસદમાં ભારે(Parliament Winter Session) હોબાળો થયો હતો. જોકે, ભાજપના આરોપોને પાયાવિહોણા ગણાવતા કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. જેની બાદ લોકસભા સ્થગિત કરવી પડી હતી.
પ્રશ્નકાળ દરમિયાન કોઈ વિષય ઉઠાવવામાં આવતો નથી
લોકસભા સવારે 11 વાગે શરૂ થઈ હતી. ત્યારે સ્પીકર ઓમ બિરલા આવતાની સાથે જ વિપક્ષી સભ્યો તેમની બેઠકો પરથી ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું. જેના લીધે ભારે ઘોંઘાટ થયો હતો. જેમાં અધ્યક્ષે પૂછ્યું કે શું તેઓ ગૃહને કામ કરવા દેવા માંગતા નથી. તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈ વિષય ઉઠાવવામાં આવતો નથી.
ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી
સ્પીકરે કહ્યું કે પ્રશ્નકાળ સૌથી મહત્વપૂર્ણ સમય છે. દેશ ઇચ્છે છે કે ગૃહની કાર્યવાહી ચાલુ રહે. તમે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યા છો તેમણે ફરી કહ્યું કે તમે ગૃહ ચલાવવા નથી માંગતા. તેના પર વિપક્ષી સભ્યો કંઈક બોલવા લાગ્યા. જેની બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ તરત જ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
Also Read – Farmers Protest: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો; શંભુ બોર્ડર ખોલવાની માંગ…
વિરોધ કરવા તમામ પક્ષોએ સાથે આવવું જોઈએ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જો કોઈ દેશ વિરોધી તત્વો સાથે મળીને કામ કરે છે તો તેનો વિરોધ કરવા તમામ પક્ષોએ સાથે આવવું જોઈએ. ભલે તે પોતાના પક્ષના જ વ્યક્તિ હોય. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે જો તેમની પાર્ટીમાંથી કોઈ પણ ભારત વિરોધી સંગઠન સાથે સંકળાયેલું છે, તો તેમણે તેની સામે પણ અવાજ ઉઠાવવો જોઈએ.
સોનિયા ગાંધી પર ભાજપનો આરોપ
ઉલ્લેખનીય છે કે, ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર એશિયા પેસિફિકના ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ (FDL-AP) સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સંસ્થાને અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ પાસેથી પૈસા મળે છે. આ સંગઠન અલગ કાશ્મીરની વકીલાત કરતું આવ્યું છે.