રાજા રઘુવંશી મર્ડર કેસમાં આખરે સોનમે એસઆઈટી સમક્ષ હત્યાની કરી કબૂલાત
સોનમનો હેતુ રાજાને રસ્તામાંથી હટાવીને રાજ કુશવાહ સાથે નવી જિંદગી શરૂ કરવાનો હતો

ઈન્દોરઃ રાજા રઘુવંશી મર્ડર કેસની હાલ તપાસ ચાલી રહી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાનો સંપૂર્ણ પ્લાન સોનમે બનાવ્યો હતો. અત્યાર સુધી શિલોંગ અને ઈન્દોર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ 23 મેના રોજ સવારે નોંગ્રિયાટ ધોધની આસપાસ જ રાજાને મોતને ઘાટ ઉતારવા માંગતી હતી, તેથી તેણે ખાઈમાં આવેલા શિપરા હોમસ્ટેમાંથી સવારે છ વાગ્યે જ ચેકઆઉટ કરી દીધું હતું, પરંતુ ત્યાં અન્ય લોકોની હાજરીને કારણે પ્લાન નિષ્ફળ ગયો. ત્રણેય આરોપીઓ જ્યારે નોંગ્રિયાટ ધોધવાળા વિસ્તારમાં રાજાને મારી ન શક્યા ત્યારે તેમણે વાઇસાવડોંગ પાર્કિંગ સ્થળ પસંદ કર્યું હતું.
પુરાવા જોઈને સોનમ ભાંગી પડી
મેઘાલયના રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસે સોનમ રઘવુંશી અને તેના પ્રેમી રાજ કુશવાહનો સામનો કરાવ્યો હતો. જેમાં સોનમ ભાંગી પડી હતી અને પતિનું કાસળ કાઢ્યું તેમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પુરાવા એકત્ર કરીને બંનેને સામ સામે બેસાડી પૂછપરછ કરી હતી. 42 સીસીટીવી ફૂટેજ, લોહીથી ખરડાયેલું જેકેટ, સોનમનો રેઇનકોટ તથા અન્ય પુરાવા સામે રાખવામાં આવ્યા હતા. પુરાવા જોઈને સોનમ ભાંગી પડી હતી અને તેણે રાજ કુશવાહ અને ત્રણ સોપારી કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુર, આનંદ કુર્મી સાથે મળીને રાજાની હત્યાનું કાવતરું રચ્યાની કબૂલાત કરી હતી.
સોનમે સાસુને એકાદશીનું વ્રત રાખ્યું હોવાની ખોટી વાત કહી
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, સોનમ હનીમૂનના બહાને રાજાને સોહરાના સુમસામ વિસ્તારમાં લઈ ગઈ હતી. જ્યાંથી તેણે લૂટારુંઓને લોકેશન મોકલ્યું હતું. ઉપરાંત સાસુને એકાદશીનું વ્રત રાખ્યું હોવાની ખોટી વાત કહી હતી. હોટલ રેકોર્ડમાં તેણે જમવાનું મંગાવ્યું હતું. હત્યા બાદ સોનમે રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સાત જન્મોનો સાથ પોસ્ટ કરીને તપાસને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી. પોલીસે ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું હતું.
સોનમને ફાંસીની સજાની માંગ
પોલીસ મુજબ, સોનમનો હેતુ રાજાને રસ્તામાંથી હટાવીને રાજ કુશવાહ સાથે નવી જિંદગી શરૂ કરવાનો હતો. રાજાના ભાઈ સચિન અને પિતા અશોક રઘુવંશીએ સોનમને ફાંસીની સજા તથા તેના પરિવારના સામાજિક બહિષ્કારની માંગ કરી હતી. સોનમના ભાઈ ગોવિંદે પણ હત્યારા માટે ફાંસીની માંગ કરી હતી પરંતુ તેણે કાવતરાની જાણકારી નહીં હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યાકાંડ: આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ