કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ભારત વિરોધી કામ કરી રહ્યા છે; સ્ટેન્ડીંગ કમિટીનો પત્ર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત સરકારે પાકિસ્તાનના ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કર્યા છે. એવામાં આજે સંસદની સ્ટેન્ડીંગ કમિટીએ જણાવ્યું કે કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેશના હિત વિરુદ્ધ કામ કરી રહ્યા છે.
અહેવાલ મુજબ, ભાજપના સાંસદ નિશિકાંત દુબેની આગેવાની હેઠળની પેનલે ઇન્ફોર્મેશન ફ્લો પર દેખરેખ રાખતા બે મંત્રાલયો પાસેથી ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા સામે કાર્યવાહીની યોજના બનાવી છે તેની વિગતો માંગી છે.
કમિટીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયો તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયોને મોકલેલા પત્રમાં આ વિગતો માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પત્ર બંને મંત્રાલયોના સંબંધિત સચિવોને પત્ર મોકલવામાં આવ્યો છે, અને તેમને 8 મે સુધીમાં વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
કમિટીએ પત્રમાં લખ્યું, “દેશમાં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દેશના હિત વિરુદ્ધ કામ કરી રહ્યા હોય તેવું લાગે છે, જેથી હિંસા ભડકવાની શક્યતા છે.”
પેનલે મંત્રાલયોને આઇટી એક્ટ 2000 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ, 2021 હેઠળ આવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો ભારતીય ટ્રેનમાં મુસાફરી બાદ અમેરિકન વ્લોગરને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા
પહલગામ હુમલા પછી, ભારત સરકારે સોશિયલ મીડિયા પર કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ઉશ્કેરણીજનક કન્ટેન્ટ ફેલાવવાના આરોપસર એક ડઝનથી વધુ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધિત પ્લેટફોર્મમાં પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ્સ ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે