મિશન સ્પેસઃ શુભાંશુ શુક્લાને ISS સ્ટેશન પર પહોંચવામાં કેટલો સમય લાગશે?

ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ મિશન-4 (Ax-4) હેઠળ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)ની યાત્રા પર છે. Axiom-4 મિશન ખાનગી કંપની એક્સઓમ સહિત નાસા, ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ યાત્રામાં શુક્લાને ISS સુધી પહોંચવામાં 28 કલાકનો સમય કેમ લાગે છે? આ પાછળના ટેકનિકલ કારણો રસપ્રદ છે, જે દર્શાવે છે કે અંતરિક્ષ યાત્રા કેટલી જટિલ હોય છે.
ડ્રેગન અંતરિક્ષ યાનને ISSની કક્ષા સાથે તાલમેલ બેસાડવા “ફેઝિંગ મેન્યુવર્સ” કરવા પડે છે, જેમાં તેની ઊંચાઈ અને ગતિને બેલેન્સ કરવામાં આવે છે. ISS પૃથ્વીથી 400 કિલોમીટર ઊંચાઈ પર 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. આ ચાલતા લક્ષ્યે પહોંચવા ડ્રેગનના 16 ડ્રેકો થ્રસ્ટર્સ ધીમે ધીમે યાનને ISSની નજીક લઈ જાય છે. આ પ્રક્રિયા સુરક્ષા અને સચોટતા માટે લાંબી ચાલે, જે 28 કલાકનો સમય લે છે.
જે બાદ સૌથી જટિલ ગણાતી ડોકિંગની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા માટે ડ્રેગનને ISSની ગતિ અને સ્થિતિ સાથે સંપૂર્ણ મેળ ખાવો પડે છે. યાનના લોન્ચ બાદ 1-2 કલાક સુધી હવાનું દબાણ અને ગેસ લિકેજની તપાસ થાય છે. ઉલ્લેખનયી છે કે, સ્પેસએક્સનું ડ્રેગન, જે 2012થી ઉપયોગમાં છે, હજુ પણ રશિયાના સોયુઝ યાન (8 કલાકમાં ISS પહોંચે છે) જેટલું ઝડપી નથી, કારણ કે તેના ગાણિતીક મોડેલ્સ હજુ વિકસી રહ્યા છે.
શુભાંશુ શુક્લા આ મિશનના પાયલટ છે અને મિશન કમાન્ડર પેગી વ્હિટસન સાથે કામ કરે છે. તેઓ 14 દિવસ ISS પર રહેશે, જ્યાં 7 ભારતીય અને 5 નાસાના પ્રયોગો કરશે. તેઓ યોગ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન પણ કરશે. મિશનની તારીખોમાં મે 2025થી જૂન સુધી વિલંબ થયો, કારણ કે હવામાન, ઓક્સિજન લિકેજ અને ISSના રશિયન ભાગના જાળવણીના મુદ્દાઓ હતા.