
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તેઓ રાકેશ શર્મા બાદ બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે. શુભાંશુ શુક્લાએ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceXના ડ્રેગન અવકાશયાન દ્વારા ઉડાન ભરી હતી. Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર 14 દિવસની યાત્રા પર છે.
શુભાંશુ શુક્લાએ 25 જૂન, બુધવારે બપોરે 12:01 વાગ્યે ફ્લોરિડામાંથી ડ્રેગન અવકાશયાનમાં ઉડાન ભરી. આ મિશનમાં તેઓ પાયલટની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમની સાથે નાસાના અનુભવી અવકાશયાત્રી પેગી વ્હિટસન, પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સકી-વિસ્નીએવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ સામેલ છે. આ ચાર સભ્યોની ટીમ ISS પર 31 દેશોના 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.
અવકાશમાંથી શુભાંશુનો સંદેશ
અવકાશમાં પહોંચ્યા બાદ શુભાંશુએ લાઈવ પ્રસારણમાં કહ્યું, “નમસ્કાર ફ્રોમ સ્પેસ! હું મારા સાથી અવકાશયાત્રીઓ સાથે અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ એક અદ્ભુત યાત્રા છે.” તેમણે કહ્યું, “જ્યારે અમને વેક્યૂમમાં લોન્ચ કરવામાં આવ્યા, ત્યારે મને બહુ સારું લાગતું ન હતું, મેં ઘણી ઊંઘ લીધી છે. એક બાળકની જેમ શીખી રહ્યો છું… અવકાશમાં કેવી રીતે ચાલવું અને ખાવું.”
આપણ વાંચો લો બોલો, હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે…
મિશનનું મહત્વ
આ 14 દિવસનું મિશન ભારતની અવકાશ સંશોધન ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. શુભાંશુ અને તેની ટીમ દ્વારા કરવામાં આવનારા પ્રયોગો માનવ શરીર વિજ્ઞાન, પોષણ અને અન્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ મિશન ભારતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે અને દેશની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે. શુભાંશુની આ યાત્રા ભારતના અવકાશ ક્ષેત્રે નવા દ્વાર ખોલશે.