પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ અંગે થરુરે ખુશી વ્યક્ત કરીને શું કહ્યું, જાણો?
![Shashi Tharoor's reaction to PM Modi's US visit](/wp-content/uploads/2025/02/shashi-tharoor-pm-modi.webp)
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત ચર્ચામાં છે. આ દરમિયાન વેપાર, ટેરિફ, ગેરકાયદે સ્થળાંતર અને સંરક્ષણ સંબંધો જેવા કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શશિ થરૂરે વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનોની પ્રશંસા કરી હતી અને તેની સાથે જ કેટલાક મુદ્દાઓ પર પોતાની ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી.
વેપાર સંબંધોમાં સુધારો થવાની શરૂઆત
શશિ થરૂરે કહ્યું કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વેપાર અને ટેરિફના મુદ્દા પર ગંભીર વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે બંને દેશોના નેતાઓએ આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવાનો નિર્ણય લીધો છે અને આ અંગેની વાતચીત સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. થરૂરના મતે આ ચર્ચાના પરિણામે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં સુધારો થવાની શક્યતા વધી ગઈ છે.
ઇમિગ્રેશનના મુદ્દા અંગે શશિ થરૂરે શું કહ્યું?
શશિ થરૂરે ગેરકાયદે ઇમિગ્રેશનના મુદ્દા પર અમેરિકાના વલણની પ્રશંસા કરી હતી, પરંતુ એક મહત્વપૂર્ણ પાસાં પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગેરકાયદે રીતે સ્થળાંતર કરી રહેલા ભારતીય યુવાનોને પાછા મોકલવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જોકે, થરૂરે એ પણ સ્વીકાર્યું કે આ મુદ્દા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ સાચુ હતું પરંતુ તેમને પાછા મોકલવાની પદ્ધતિ યોગ્ય છે તેની ખાતરી કરવી જરૂરી હતી.
આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
F-35 વિમાન પર સંરક્ષણ સંબંધોની શરૂઆત
વડા પ્રધાન મોદીની અમેરિકાની મુલાકાતમાં બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે અમેરિકાએ ભારતને F-35 સ્ટીલ્થ વિમાન વેચવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. શશિ થરૂરે તેને ખૂબ જ મૂલ્યવાન પગલું ગણાવ્યું છે કારણ કે F-35 એક અત્યાધુનિક અને શક્તિશાળી વિમાન છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે. થરૂરે આ પગલાને ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક નવી શરૂઆત તરીકે જોયું.
વડા પ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા
શશિ થરૂરે મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી સામે આવેલી વિગતોથી તેઓ ઉત્સાહિત છે. થરૂર કહે છે કે વડા પ્રધાન મોદીએ ભારત માટે જે શક્યતાઓ રજૂ કરી છે તે ખૂબ જ સકારાત્મક છે અને આવનારા સમયમાં વધુ સકારાત્મક પરિણામો આવી શકે છે.