‘મારા કોંગ્રેસ સાથે કેટલાક મતભેદ છે’ શશિ થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો

નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરનો ભાજપ સાથે ઘરોબો વધી રહ્યો હોવાની અટકળો વહેતી (Shashi Tharoor relation with BJP) થઇ છે. ઓપરેશન સિંદૂર બાદ ગ્લોબલ આઉટ રીચ પ્રોગામ હેઠળના એક સર્વદળીય પ્રતિનીધી મંડળનું નેતૃત્વ પણ કર્યું હતું, તેમણે અમેરિકામાં મોદી સરકારના વખાણ પણ કર્યા હતાં. કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં શશિ થરૂર સામે નરાજગી વ્યક્ત કરી હતી અને પાર્ટી પ્રત્યે વફાદારી પર સવાલો ઉઠાવ્યા હતાં. હવે આ મામલે થરૂરે મહત્વનું નિવેદન આપ્યું છે.
શશી થરૂરે કહ્યું છે કે ઘણા મુદ્દાઓ પર તેમના વિચારો પાર્ટીથી અલગ છે અને તેઓ પાર્ટીની અંદર જ આ બાબતે ચર્ચા કરશે. થરૂરના આ નિવેદનનું વિવિધ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
મતભેદોની ચર્ચા પક્ષની અંદર જ થશે:
પત્રકારો સાથે વાત કરતા શશિ થરૂરે કહ્યું, “હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. પક્ષ સાથે મારા કેટલાક મતભેદો છે, અને હું તેની ચર્ચા પક્ષની અંદર જ કરીશ. હું આજે તેના વિશે વાત કરવા ઈચ્છતો નથી.”
શશિ થરૂરે કહ્યું, “મારે આ વિષે વાત કરવી છે, પણ સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ. વડાપ્રધાન સાથેની ચર્ચા ફક્ત પ્રતિનિધિમંડળને લગતા મુદ્દાઓ પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશ સાથે ઉભા રહેવાની આપણી જવાબદારી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર હોય, ત્યારે હું હંમેશા તૈયાર રહીશ.”
આ પણ વાંચો - રાહુલ ગાંધી 55 વર્ષના થયા: વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું કહ્યું
ભારત સરકારે જ્યારે શશિ થરૂરને અમેરિકા જતા પ્રતિનિધિમંડળના વડા બનાવ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પ્રતિનિધિમંડળ માટે કોંગ્રેસ દ્વારા શશિ થરૂરનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું નથી.