શનિ મંદિર ટ્રસ્ટે 114 મુસ્લિમ કર્મચારીઓની કરી હકાલપટ્ટી, જાણો શું છે સાચું કારણ

અહિલ્યાનગર: શનિ શિંગણાપુર મંદિરનું શનિ દેવના ભક્તોમાં ઘણું મહત્વ છે. હાલ આ મંદિર ચર્ચાનું કારણ બન્યું છે. કારણ કે શનિ શિંગણાપુર મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટ દ્વારા 167 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. જે પૈકીના 114 મુસ્લિમ કર્મચારી છે. આવો જાણીએ આ મોટી હકાલપટ્ટી પાછળનું સાચું કારણ શું છે?
શું કોઈ સંગઠનના દબાણમાં કરાઈ હકાલપટ્ટી?
મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ સકળ હિંદુ સમાજ નામના સંગઠને શનિ શિંગણાપુર મંદિરમાં કામ કરતા બિન-હિંદુ કર્મચારીઓને હટાવવાની માંગ કરી હતી. જો આવું ન કરવામાં આવ્યું તો મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવાની પણ સંગઠને ચીમકી ઉચ્ચારી હતી. ગત મહિને એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક બિન-હિંદુ કર્મચારી મંદિરમાં કલરકામ કરી રહ્યો છે. જોકે હકાલપટ્ટીનું કારણ કંઈ જુદુ જ છે.
કર્મચારીઓની હકાલપટ્ટીનું સાચું કારણ
ટ્રસ્ટના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર જે કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે, તેઓ મંદિર ટ્રસ્ટના કૃષિ, શિક્ષણ અને અન્ય વિભાગોમાં કામ કરતા હતા. જે પૈકી કેટલાક કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી કામ પર આવી રહ્યા ન હતા.
શનૈશ્વર દેવસ્થાન ટ્રસ્ટના સીઈઓ ગોરક્ષનાથ દરંદલે જણાવ્યું કે, અમે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. 167 કર્મચારીઓને નોકરીમાંથી હટાવવાની કાર્યવાહી સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધતાના આધારે કરવામાં આવી છે. દેવસ્થાનમાં 2400થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તે પૈકીના કેટલાક કામ પર નથી આવતા. ટ્રસ્ટે તેઓને પગાર અટકાવી દીધો છે અને કારણ દર્શક નોટિસ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે, 167 કર્મચારીઓને નોકરીમાંથી હટાવવાના કારણ અંગે શનૈશ્વર દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું કે, કર્મચારીઓનું લાંબા સમય સુધી ગેરહાજર રહેવું અને બીજા અન્ય કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી છે. 8 જૂન અને 13 જૂન એમ બે તબક્કામાં 167 કર્મચારીઓને નોકરીમાંથી હટાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…આજથી શનિ-શિંગણાપુરના મંદિરમાં માત્ર બ્રાન્ડેડ તેલનો અભિષેક, જાણો કારણ