પહેલગામ હુમલા વચ્ચે શાહરૂખ ખાનનો વીડિયો વાયરલઃ જેહાદનો અસલી મતલબ સમજાવ્યો

કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના રોજ થયેલા હુમલાના શોકમાંથી હજુપણ દેશવાસીઓ બહાર આવ્યા નથી. અહીં ફરવા આવેલા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી મારી નાખવાની આતંકવાદીઓની નાપાક હરકતથી દેશ આખો ઉકળે છે. પ્રવાસીઓને મુસ્લિમ હોય તો કલમા પઢી સાબિત કરવા કહ્યું હતું અને જેઓ હિન્દુ હતા તેમને મારી નાખ્યા હતા. આ ઘટનાને તમામ મોરચે વખોડાઈ રહી છે ત્યારે અભિનેતા શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જૂનો હોવા છતાં આજના સમયને અનુરૂપ હોવાથી લોકો જોઈ રહ્યા છે.
વીડિયોમાં એસઆરકે કોઈ કાર્યક્રમનાં સ્ટેજ પર છે અને સ્પીચ આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન એસઆરકે કહે છે કે હું ઈસ્લામ ધર્મનો છું. હું મુસ્લિમ છું. અમારા ધર્મમાં એક શબ્દનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. તે છે જિહાદ. જિહાદનો થોટ પ્રોસેસ એવો છે કે આપણી અંદરના ખોટા વિચારો સામે લડવું, તેના પર જીત મેળવવી. જિહાદ તેને કહેવામાં આવે છે. બહાર સડકો પર લોકોને મારવા ને જિહાદ ન કહેવાય એસઆરકેની આ વાતને ઓડિયન્સ તાળીથી વધાવી રહી છે.
આતંકવાદીઓના આવા કારનામાનો મુસ્લિમો પણ વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રની સરકાર આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારીઓ કરી રહી હોવાનું સમાચારોમાં વહેતું થયું છે. દેશનો દરેક નાગરિક ઈચ્છે છે કે માર્યા ગયેલા 26 નિર્દોષના જીવનો બદલો લેવામાં આવે.