નેશનલ

‘તેઓ કોઈ તક છોડતા ન હતા..’ બ્રિજ ભૂષણ સામે દિલ્હી પોલીસના ગંભીર આરોપ

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ કેસમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આજે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં બ્રિજભૂષણ શરણ સિંહ સામેના કેસમાં ચાર્જ ફ્રેમ કરવા અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણને કોર્ટમાં હાજરી ન આપવા છૂટ આપી હતી. આ દરમિયાન કોર્ટમાં દલીલ કરતી વખતે દિલ્હી પોલીસના વકીલે કહ્યું હતું કે બ્રિજ ભૂષણ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે જ્યારે પણ બ્રિજ ભૂષણને તક મળી ત્યારે તેણે મહિલા રેસલરનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

દિલ્હી પોલીસ તરફથી વકીલે કહ્યું કે પ્રશ્ન એ નથી કે પીડિત યુવતીએ કોઈ પ્રતિક્રિયા આપી કે નહીં, સવાલ એ છે કે તેમની સાથે ખોટું કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે રજૂ કરાયેલા પુરાવા બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડવા માટે પૂરતા છે. આવી સ્થિતિમાં મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના મામલામાં આરોપી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે.

આ કેસની સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસના વકીલે દિલ્હીમાં WFI ઓફિસમાં ફરિયાદીઓ સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ફરિયાદો દિલ્હી પોલીસના અધિકારક્ષેત્રમાં છે. એક મહિલા કુસ્તીબાજની ફરિયાદનો ઉલ્લેખ કરતા દિલ્હી પોલીસે કહ્યું કે તાજિકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન બ્રિજ ભૂષણે ફરિયાદીને રૂમમાં બોલાવી અને બળજબરીથી ગળે લગાવી હતી. જ્યારે ફરિયાદીએ તેની સામે વિરોધ કર્યો તો બ્રિજભૂષણે કહ્યું કે તેણે તેના પિતાની જેમ જ કર્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રિજ ભૂષણ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે.

દિલ્હી પોલીસના વકીલે અન્ય ફરિયાદીની ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તાજિકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન બ્રિજ ભૂષણે પરવાનગી વિના મારું શર્ટ ઊંચક્યું હતું, મારા પેટને સ્પર્શ કર્યો હતો અને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

વધુમાં, દિલ્હી પોલીસે કહ્યું કે જો ભારતમાં કોઈ મહિલા વિરુદ્ધ IPCની કલમ 354A હેઠળ ગુનો થાય, તો આરોપીને મહત્તમ ત્રણ વર્ષની સજા થઈ શકે છે. ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ઉલ્લેખ કરતાં દિલ્હી પોલીસે કહ્યું કે આ કેસમાં પણ ઘણી અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી હતી પરંતુ કોર્ટે કેસની સુનાવણી એક જગ્યાએ કરી હતી.

હવે રાઉઝ એવન્યુ કોર્ટમાં આગામી સુનાવણી 7મી ઓક્ટોબરે થશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button