સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10 નવેમ્બર સુધી વધી
![Sanjay Singh's judicial custody extended](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Mumbai-Samachar-by-Jignesh-31.jpg)
નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી ફરી એક વાર આંચકો લાગ્યો છે. કોર્ટે તેમને 10 નવેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. જોકે, કોર્ટે જેલ ઑથોરિટીને સંજયસિંહને વહેલી તકે ડૉક્ટર પાસે લઇ જવાની સૂચના આપી છે, જેથી તેમની આંખોની સમસ્યાનું નિરાકરણ આવે.
કોર્ટે જેલ ઑથોરિટીને તેની સારવાર માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા જણાવ્યું હતું. સારવાર બાદ તેને સુરક્ષા હેઠળ પાછા જેલમાં લાવવામાં આવશે. કોર્ટે સંજય સિંહના વકીલને આદેશ આપ્યો છે કે સારવાર દરમિયાન સમર્થકોની ભીડ ન હોવી જોઈએ. સંજયસિંહના સમર્થકોની ભીડને કારણે બાકીના દર્દીઓની મુશ્કેલીમાં વધારો થશે.
કોર્ટે પરિવારના ખર્ચને પહોંચી વળવા સંજય સિંહને બે ચેક પર સહી કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે સંજય સિંહને એમસીડીના કમિશનરને લખેલા પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી, જેના દ્વારા તેમણે તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે ભંડોળના વિતરણની માંગ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 4 ઓક્ટોબરે દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં ગેરરીતિઓને લઈને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલમાં છે. આ કેસમાં સંજય સિંહે દાવો કર્યો છે કે કેન્દ્ર અને બીજેપીના કાવતરાના ભાગરૂપે એક્સાઈઝ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલો એવો છે કે આમ આદમી પાર્ટીની સરકારે 17 નવેમ્બર, 2021ના રોજ દિલ્હીમાં નવી આબકારી નીતિ લાગુ કરી હતી. AAP સરકારે આ નીતિ લાગુ કરીને સરકારની આવક વધારવાનો દાવો કર્યો હતો, પરંતુ આગામી વર્ષે જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક્સાઈઝ પોલિસીમાં ગેરરીતિઓ અંગે રિપોર્ટ સોંપ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ પર સીબીઆઈએ કેસની તપાસ શરૂ કરી હતી.
આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પણ મની લોન્ડરિંગ અંગેનો કેસ નોંધ્યો હતો. આ રિપોર્ટમાં તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને ખોટો ફાયદો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઇડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. જે બાદ 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી.