Normal Life Resumes in Sambhal After Violence

યુપીના સંભલમાં હિંસા બાદ જનજીવન સામાન્યઃ શાળાઓ ફરી શરૂ, ઇન્ટરનેટ હજુ બંધ…

સંભલઃ ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં અદાલતના જામા મસ્જિદના સર્વેક્ષણ આદેશ પછી ફેલાયેલી હિંસાના બે દિવસ પછી જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. આજે શાળાઓ ફરી ખુલી હતી. આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો પણ ખુલવા લાગી હતી. જોકે ઈન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે સુરક્ષા દળો તૈનાત છે.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના મુરૈનામાં વિસ્ફોટઃ 3 મકાન ધરાશાયી, 4 મહિલાનાં મોત

હિંસાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ 30 નવેમ્બર સુધી સંભલમાં બહારના લોકો અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્ય ચોક પર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા પ્રશાસને દેખરેખ અને પેટ્રોલિંગ વધારી દીધું છે.

કોર્ટના આદેશ પર શાહી જામા મસ્જિદનું સર્વેક્ષણ 19 નવેમ્બરના રોજ શરૂ થયું ત્યારે સંભલમાં હિંસા વધી હતી. એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદની જગ્યા પર પહેલા હરિહર મંદિર હતું.

સર્વેની ટીમે રવિવારે ફરી સર્વે શરૂ કર્યો ત્યારે મસ્જિદ પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસ અને સુરક્ષા દળો સાથે ઘર્ષણ થયું હતું. હિંસા દરમિયાન ટોળાએ વાહનોને આગ ચાંપી હતી અને પથ્થરમારો કર્યો હતો.

સત્તાવાર આંકડાઓ અનુસાર આ હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. એક અન્યએ પોસ્ટમોર્ટમ કરાવ્યું નથી. લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં પોલીસકર્મીઓ અને વહીવટી અધિકારીઓ પણ સામેલ છે. ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : ‘સરકાર ઈમાનદારીથી પણ ચાલી શકે છે’ પાર્ટીના સ્થાપના દિવસે કેજરીવાલે કાર્યકરોને સંબોધ્યા

જિલ્લા પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ડ્રોન ફૂટેજ, સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને મોબાઈલ વીડિયોની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button