સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસ કાર્યવાહી પર રોક લગાવી

નવી દિલ્હી: સદગુરુ નામથી જાણીતા જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન(Isha Foundation)ને સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કોર્ટે બે મહિલાઓને કથિત રીતે બંધક બનાવવાના મામલામાં ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રોક લગાવી દીધી છે. એક પિતાનો દાવો છે કે તેમની બે પુત્રીઓને આશ્રમમાં જોડાવા માટે “બ્રેઈનવોશ” કરવામાં આવી હતી. આશ્રમ રહેતી મહિલાઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ દબાણ વિના આશ્રમમાં સ્વેચ્છાએ રહે છે.
તામિલનાડુના કોઈમ્બતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં બે છોકરીઓને બળજબરીથી બંધક બનાવી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરિવારના સભ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરી અને અરજીનો નિકાલ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય પોલીસ ઈશા ફાઉન્ડેશન સામેની અન્ય ફરિયાદની તપાસ ચાલુ રાખશે. અમારો આદેશ પોલીસ તપાસમાં અવરોધ નહીં આવે.
આ પણ વાંચો : સદગુરુના ઈશા ફાઉન્ડેશન પર 150 પોલીસકર્મીઓનો દરોડો, મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ બે બહેનોની તપાસ શરૂ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે મુદ્દો હાઈકોર્ટ સમક્ષ હતો તેની જ ચર્ચા થવી જોઈતી હતી અન્ય ટિપ્પણીઓ ન કરવી જોઈએ. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, 8 વર્ષ પહેલા છોકરીઓની માતાએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. હવે પિતાએ અરજી કરી છે. હાઈકોર્ટે બંનેને હાજર થવા બોલાવ્યા છે. હાઈકોર્ટે પોલીસને તપાસ કરવા જણાવ્યું છે. અમે બંને મહિલાઓ સાથે પણ વાત કરી છે અને તેમના નિવેદનો નોંધ્યા છે. બંનેએ કહ્યું છે કે તેઓ ત્યાં પોતાની મરજીથી રહે છે. હવે અમારે આ અરજીઓ અહીં જ અટકાવવી પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યુકે આ આદેશ, આ એક કેસ માટે જ છે. આશ્રમના એક ડૉક્ટર પર તાજેતરમાં બાળ શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો.