
નવી દિલ્હી : અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ઈડી, સેબી અને સીબીઆઈ બાદ હવે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં ફંડની હેરાફેરીની તપાસ શરુ કરી છે. જેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ અને સીએલઈ પ્રાઈવેટ લિમિટેડ ગ્રુપની અનેક કંપનીઓનો સમાવેશ થાય છે.
તપાસમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે કરેલી તપાસમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ અને કંપની એક્ટ હેઠળ નોંધપાત્ર ભંગ જોવા મળ્યા છે. તેમજ આ કેસ હવે ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલ ને સોંપવામાં આવ્યો છે.જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓ વચ્ચે ભંડોળના પ્રવાહની તપાસ કરશે અને સિનીયર મેનેજમેન્ટ સ્તરે જવાબદારી નક્કી કરશે તેમજ આ તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ઈડીએ 3500 કરોડની સંપત્તિ જપ્ત કરી
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે એવા સમયે તપાસ શરુ કરી છે. જયારે ઈડીએ દેવાના બોજ હેઠળ રહેલા રિલાયન્સ ગ્રુપ પર કાર્યવાહી તેજ કરી છે. જેમાં આ અઠવાડિયાની શરૂઆતમાં ઈડી એ રિલાયન્સ ગ્રુપ કંપનીઓની લગભગ રૂપિયા 3500 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં ઈડીએ ગ્રુપની 42 મિલકતો જપ્ત કરવા માટે ચાર અલગ-અલગ આદેશ આપ્યા હતા. જેમાં મુંબઈના પાલી હિલમાં અનિલ અંબાણીના પરિવારનું ઘર તેમજ તેમની કંપનીઓની માલિકીની અન્ય રહેણાંક અને વાણિજ્યિક મિલકતોનો સમાવેશ થાય છે.
યસ બેંકને આપેલા નાણાના કેસમાં કાર્યવાહી
ઈડી દ્વારા આ કાર્યવાહી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની સંબંધિત કંપનીઓને લગતી બાબતો સાથે જોડાયેલી હતી. જે વર્ષ 2017 અને 2019 વચ્ચે યસ બેંક પાસેથી મેળવેલી લોનના કથિત દુરુપયોગ સાથે સંબંધિત છે. જયારે સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર બંને સામાન્ય રીતે કાર્યરત છે.
આ પણ વાંચો…અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર ઇડીની મોટી કાર્યવાહી, 3084 કરોડની સંપત્તિ જપ્ત કરી…



