RBIએ 3 બેંકોને 10 કરોડનો દંડ ફટકાર્યો, 5 સહકારી બેંકો પર પણ પગલા ભર્યા

RBIએ 3 બેંકોને 10 કરોડનો દંડ ફટકાર્યો, 5 સહકારી બેંકો પર પણ પગલા ભર્યા

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું ઉલ્લંઘન કરતી ત્રણ બેંકો પર 10 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત RBIએ 5 સહકારી બેંકો સામે પણ કાર્યવાહી કરી છે. RBIએ સિટી બેંક પર સૌથી વધુ 5 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડા પર 4.34 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ખાનગી ક્ષેત્રની સિટી બેંક પર સૌથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેંક પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ઉપરાંત, બેન્કે રિસ્ક મેનેજમેન્ટ અને નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગ માટે આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન કર્યું ન હતું. બેંક ઓફ બરોડા પર સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ લાર્જ કોમન એક્સપોઝર સ્થાપવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બીજી તરફ, ચેન્નાઈ સ્થિત જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક લોન અને એડવાન્સના નિયમોનું પાલન ન કરવા બદલ દોષી ઠરાઈ છે.

રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી હતી કે આ ત્રણ બેંકો પર માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેનો હેતુ બેંકો અને તેમના ગ્રાહકો સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર સવાલ ઉઠાવવાનો નથી. આરબીઆઈએ આ બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આમાં તેમને દંડ ટાળવા માટે સ્પષ્ટતા આપવા કહેવામાં આવ્યું છે.

અગાઉ આરબીઆઈએ વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરતી 5 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો હતો. જેમાં શ્રી મહિલા સેવા સહકારી બેંક, પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક, સર્વોદય નાગરિક સહકારી બેંક, ખંભાત નાગરિક સહકારી બેંક અને વેજલપુર નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે. તેમના પર 25 હજારથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે શુક્રવારે આગામી એક વર્ષ માટે અભ્યુદય કોઓપરેટિવ બેંકના બોર્ડને હટાવવાની જાહેરાત કરી હતી. જો કે, બેંકના વ્યવસાય પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. સેન્ટ્રલ બેંકે ભારતીય સ્ટેટ બેંકના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર સત્ય પ્રકાશ પાઠકને અભ્યુદય કોઓપરેટિવ બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાંત સલાહકારોની સમિતિ પણ નિયુક્ત કરવામાં આવી છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે અભ્યુદય કોઓપરેટિવ બેંકના ગવર્નન્સના નબળા ધોરણોને કારણે તેને પગલા લેવાની ફરજ પડી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button