
સિરસા: બળાત્કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) ફરી જેલની બહાર આવ્યો છે. તેને 21 દિવસના પેરોલ મળ્યા છે, કડક સુરક્ષા વચ્ચે રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાંથી સિરસા (Sirsa) સ્થિત ડેરા મુખ્યાલય પહોંચ્યો હતો. સિરસામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેના અનુયાયીઓ ખુશ છે, જ્યારે એક બાલાત્કારીને ફરી પે રોલ આપવા બદલ ઘણા લોકો હરિયાણા સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.
સુનારિયા જેલમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરમીત રામ રહીમને બુધવારે સવારે મુક્ત કરવામાં આવ્યો હતો અને તે સિરસામાં ડેરા મુખ્યાલય જવા રવાના થયો હતો. 2017 માં દોષિત ઠર્યા પછી તે બીજી વખત મુખ્યાલય મુલાકાત લઈ રહ્યો છે. હરિયાણા રાજ્ય સરકારે બાળાત્કારના કેસમાં દોષિત રામ રહીમને આ 13મી વખત પેરોલ આપ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મળ્યા હતાં પેરોલ:
નોંધનીય છે કે રામ રહીમને અગાઉ ઘણીવાર પેરોલ મળી ચુક્યા છે. છલ્લે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના આઠ દિવસ પહેલા 28 જાન્યુઆરીએ તેને 30 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તેના પેરોલ પુરા થયા બાદ તેને ફરી સુનારિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેને હરિયાણામાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા 20 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બળાત્કારના પ્રયાસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
રામ રહીમનો રાજકીય પ્રભાવ:
ગુરમીત રામ રહીમને જે રીતે સતત પેરોલ મળી રહ્યા છે, એ ધ્યાનમાં રાખીને રાજકારણમાં રામ રહીમના પ્રભાવ અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેરાના અનુયાયીઓની સંખ્યા 1.25 કરોડ છે. ડેરાની 38 શાખાઓમાંથી 21 શાખાઓ એકલા હરિયાણામાં આવેલી છે. ધાર્મિક સંપ્રદાય હોવા છતાં, ડેરાના રાજકીય હિતો છે અને ડેરાએ એક રાજકીય શાખા પણ સ્થાપી છે, જે ગુરમીત રામ રહીમના નિર્દેશ હેઠળ કામ કરે છે.