કોણ છે એ ચાર લોકો જેઓ રામ લલ્લાના અભિષેકમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ગર્ભગૃહમાં હાજર રહેશે?
![PM Modi to join 4 special guests in sanctum sanctorum for Ram Lalla's Abhishekam at Ayodhya's grand Ram Mandir.](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/deccanherald_import_sites_dh_files_articleimages_2023_06_13_pm-modi-at-the-foundation-laying-ceremony-of-the-ram-temple-credit-reuters-file-photo-1227274-1686617245-780x470.webp)
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે. જેમાં પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે. 22 જાન્યુઆરીએ જ્યારે રામ લલ્લાની મૂર્તિને જ્યારે દર્પણમાં દર્શન કરાવવામાં આવસે તે સમયે વડા પ્રધાન મોદી સાથે આ ચારેય મહેનુભાવો ગર્ભગૃહમાં હાજર રહેશે. જો કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહનો પડદો બંધ રાખવામાં આવશે.
પૂજા કાર્યક્રમ માટે આચાર્યોની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ ટીમનું નેતૃત્વ સ્વામી ગોવિંદ દેવ ગિરી કરશે. આચાર્યોની બીજી ટીમનું નેતૃત્વ કાંચી કામકોટી શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી કરશે. તેમજ ત્રીજી ટીમમાં કાશીના 21 વિદ્વાનો કરશે.
આવતા મહિને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શહેરમાં ઘણી જ ચહેલ પહેલ જોવા મળી રહી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’થી શણગારવામાં આવી રહ્યો છે. દરેક થાંભલા ત્રીસ ફૂટ ઊંચા હશે. જેની પર રાત્રે લાઇટિંગ કરતા તે સૂર્ય જેવા દેખાશે. ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના અયોધ્યા ડિવિઝનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આવા 40 સ્તંભ ‘ધર્મ પથ’ રોડ પર સ્થાપિત કરવામાં આવશે. આ ધર્મ પથ નયા ઘાટ નજીક લતા મંગેશકર ચોકને અયોધ્યા બાયપાસથી જોડે છે.
જાન્યુઆરીમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.