Rajya sabha election: સપામાં બળવાની આશંકા, આ કારણે વિધાનસભ્યો ક્રોસ વોટીંગ કરી શકે છે
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Anant-Ambaniની-દુલ્હનિયા-3.jpg)
લખનઉ: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની છે. રાજ્યસભામાં યુપીની 10 બેઠકો છે, જ્યારે ઉમેદવારોની સંખ્યા 11 થઈ ગઈ છે. યુપીમાં ભાજપે 8 ઉમેદવારોની જાહેરાત કરી છે જ્યારે સમાજવાદી પાર્ટીએ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે સમાજવાદી પાર્ટીના સાથી પક્ષો દૂર થવા લાગ્યા ત્યારે ભાજપે સંજય શેઠને આઠમા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા.
રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓમાં બળવો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ, જેલમાં બંધ વિધાનસભ્યોના મત મેળવવા માટે સપા કાયદાકીય પ્રક્રિયાનો સહારો લઈ રહી છે.
રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત બાદ એવી ચર્ચા છે કે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય ઈન્દ્રજીત સરોજ પોતાના 3-4 વિધાનસભ્યો સાથે ભાજપના સંપર્કમાં છે. ઈન્દ્રજીત સરોજ બીજેપી MLC રામચંદ્ર પ્રધાનના નજીકના સંબંધી છે. સમાજવાદી પાર્ટી પર PDA (પછાત-દલિત-અલ્પસંખ્યક)ફોર્મ્યુલાની અવગણના કરીને રાજ્યસભાના ઉમેદવારો ઉભા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
અપના દળ (કામેરાવાદી)ના વિધાનસભ્ય પલ્લવી પટેલે સમાજવાદી ઉમેદવારોને મત નહીં આપવાની પહેલેથી જાહેરાત કરી દીધી છે. તેમણે પીડીએ (પછાત-દલિત-લઘુમતી)ની મુજબ પાર્ટીએ ઉમેદવાર ઉભા ન રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદના ખાસ પૂર્વ વિધાનસભ્ય બ્રિજેશ પ્રજાપતિએ પણ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
દરમિયાન એવી પણ ચર્ચા છે કે સપાના રાષ્ટ્રીય મહાસચિવ સલીમ શેરવાની પણ તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રો મુજબ તેઓ રાજ્યસભામાં જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમને ટિકિટ મળી નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે પીડીએ સમર્થક વિધાનસભ્યો જયા બચ્ચન અને આલોક રંજનને વોટ નહીં આપે.
બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં જેલમાં બંધ વિધાનસભ્યોને મત આપવા માટે સમાજવાદી પાર્ટી કાયદાકીય પ્રક્રિયાનો સહારો લઈ રહી છે. કાનપુરના વિધાન સભ્ય ઈરફાન સોલંકી, આઝમગઢના વિધાનસભ્ય રમાકાંત યાદવ જેલમાં છે.