INS Vikrant પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને સંદેશ, જો નૌકાદળ મેદાનમાં આવ્યું હોત તો ચાર ટુકડા થયા હોત…

નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” લોન્ચ કર્યું હતું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં ભારતીય વાયુસેનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે એક મોટો ખુલાસો કર્યો છે અને ભારતીય નૌકાદળ (નેવી) ની આ ઓપરેશનમાં ભજવેલી ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી છે. રક્ષા પ્રધાન આઈએનએસ વિક્રાંતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું કે નેવીએ કેવી રીતે ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાનો ભાગ ભજવ્યો.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી. જો પાકિસ્તાને કોઈ ભૂલ કરી, તો આ વખતે પાકિસ્તાનને સંભાળવાનો મોકો પણ નહીં મળે. આપણી નેવી સુનામી લાવી શકે છે.” તેમણે પાકિસ્તાન દ્વારા વારંવાર વાતચીતની રજૂઆતને પણ ટાંકી, જેમાં ગઈકાલે જ પાકિસ્તાનના વડાપ્રધાને વાતચીતની વાત કરી હતી.

…તો પાકિસ્તાનના 4 ટુકડા થઈ જાત
રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, “પાકિસ્તાન હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપી દે. મુંબઈ હુમલામાં હાફિઝ સઈદ સામેલ હતો, તેનો હિસાબ થશે. આતંકવાદ વિરુદ્ધ અમે એવી રણનીતિનો ઉપયોગ કરીશું જે પાકિસ્તાન કલ્પના પણ નહીં કરી શકે.” તેમણે આગળ કહ્યું, “આ વખતે પાકિસ્તાને કોઈ હરકત કરી તો આપણી ઓપનિંગ નેવી કરશે. આ વખતે પાકિસ્તાને હરકત કરી તો નૌકાદળ પણ આવશે અને ભગવાન પણ જાણે છે કે પાકિસ્તાનનું શું થશે. જો નૌકાદળ આ વખતે આવત, તો પાકિસ્તાનના 4 ટુકડા થઈ જાત. 1971માં નૌકાદળ આવ્યું હતું, તો બે ટુકડા થઈ ગયા હતા.”

નેવીએ પણ પાકિસ્તાનને શીખવ્યો પાઠ
રક્ષા પ્રધાને જણાવ્યું કે, “પાકિસ્તાનને ખબર છે કે ભારતીય નૌકાદળ કાર્યવાહી કરે છે તો તેની શું અસર થાય છે. ભારત કોઈપણ પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે નિપટવા માટે તૈયાર છે. આપણી સેનાનો મનોબળ પર્વત જેવો અડગ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી નૌકાદળ પાકિસ્તાનને તેના તટ પર જ રોકી દીધું. આપણો પ્રહાર એટલો સખત હતો કે પાકિસ્તાન આખી દુનિયા સામે ગુહાર લગાવી રહ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આપણા જહાજોના પશ્ચિમી કાફલાએ આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર પશ્ચિમી અને પૂર્વીય તટ પર સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં મિસાઈલો છોડી.