
ભારત અત્યારે વિશ્વકક્ષાએ પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO – Shanghai Cooperation Organisation) ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ હાજરી આપી હતી. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી ગતિરોધ બાદ સંબંધો બગડ્યા પછી ભારતના કોઈ સંરક્ષણ પ્રધાને પહેલી વખત ચીનની મુલાકાત લીધી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ, સુરક્ષા અને શાંતિ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. મહત્વની વાત એ છે કે, SCOની આ બેઠકમાં પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પણ હાજર હતા, જેમની સામે રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે આકરી ટીકાઓ કરી હતી.
સંરક્ષણ પ્રધાને સંયુક્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો
આ બેઠકમાં સંરક્ષણ પ્રધાને મજબૂત રીતે ભારતનો પક્ષ રાખ્યો હતો. બેઠક દરમિયાન રાજનાથ સિંહે આતંકવાદ અને પહેલગામ પર ભારતનું વલણ મજબૂતીથી રજૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન અને ચીન આતંકવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સંરક્ષણ પ્રધાને સંયુક્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો, જો ઈનકાર ના કર્યો હોત તો ભારત પક્ષ નબળો પડી ગયો હતો. આ બેઠકમાં રાજનાથ સિંહ અને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. ભારત હવે કોઈ પણ ભોગે પાકિસ્તાન સાથે આવા સંયુક્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર જ નથી.
રાજનાથ સિંહે SCO બેઠકમાં જ પાકિસ્તાનને સંભળાવી ખરીખોટી
આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનની જોરદાર ઝાટક્યું છે. ખાસ કરીને આતંકવાદ મુદ્દે રાજનાથ સિંહે બેઠકમાં જ પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, એકબાજુ આતંકવાદીઓને હથિયાર આપવા અને બીજા બાજુ શાંતિ અને સમૃદ્ધિની વાતો? આ બન્ને સાથે ના થઈ શકે! આ સાથે એવું પણ કહ્યું કે, જે લોકો આતંકવાદને આશરો આપી રહ્યાં છે તેમને તેના પરિણામ પણ ભોગવવા પડશે. પાકિસ્તાની આલોચના કરતા રાજનાથ સિંહે કહ્યું કે, જે દેશો આતંકવાદીઓને આશ્રય આપે તેવા બેવડા ધોરણો માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં અને SCO એ આવા દેશોની ટીકા કરવામાં અચકાવું જોઈએ નહીં.
આતંકવાદી હુમલાઓને રોકવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યોઃ રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાની પણ વાત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. એક નેપાળી નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકોના મોત થયા. ભોગ બનેલા લોકોને તેમની ધાર્મિક ઓળખના આધારે પ્રોફાઇલ બનાવ્યા બાદ ગોળી મારી દેવામાં આવી હતી. યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના એજન્ટ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકવાદી હુમલાઓને રોકવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને ભારતે 7મી મે 2025 ના રોજ સરહદ પાર આતંકવાદી છાવણીઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક શરૂ કર્યું.
રાજનાથ સિંહે જ્યારે આતંકવાદ પર વાત કરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાન સાથે ચીને પણ આ મુદ્દાને ટાળવા માટે અનેક પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ રાજનાથ સિંહે પોતાનો પક્ષ મજબૂતાઈથી રાખ્યો અને આતંદવાદી પ્રવૃત્તિઓમાં સામેલ દેશોની આકરી ટીકાઓ કરી હતી. એટલું જ નહીં પરંતુ SCOને પણ આવા દેશોની ટીકા કરવા માટે કહ્યું હતું.